શંખેશ્વર પાસે નાયરા પેટ્રોલ પંપ નજીક વહેલી સવારે એક અજાણ્યા વાહને ઓટો રિક્ષાને ટક્કર મારતા રિક્ષામાં પાછળ બેઠેલી ૨૧ વર્ષની યુવતીનું ઘટના સ્થળે જ ગંભીર ઈજા થવાથી મોત થયું હતું. મૃતક યુવતી ગાંધીનગર જવા માટે પોતાના કૌટુંબિક ભાઈની રિક્ષામાં શંખેશ્વર આવી રહી હતી ત્યારે આ ઘટના બની હતી
શંખેશ્વર તાલુકાના ખીજડીયારી ગામના કાજલબા બહાદુરસિંહ (ઉંમર 21 વર્ષ) વહેલી સવારે ગાંધીનગર જવા નીકળ્યા હતા. તેઓ પોતાના કૌટુંબિક ભાઈ ખુમાનસિંહ પરમારની રિક્ષામાં બેસીને શંખેશ્વર તરફ આવી રહ્યા હતા.શંખેશ્વર પહોંચતા નાયરા પેટ્રોલપંપ નજીક સામેથી આવી રહેલા અજાણ્યા વાહને રિક્ષાને જોરદાર ટક્કર મારતા રિક્ષામાં પાછળ બેઠેલા કાજલબા રિક્ષા માંથી બહાર ફેંકાઈ ગયા હતા. તેમને ચહેરાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી અને તેમનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.
બનાવની જાણ થતા જ શંખેશ્વર પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી.પોલીસે મૃતદેહને શંખેશ્વર સી.એચ.સી.ખાતે પોસ્ટમોર્ટમ માટે ખસેડવાની કાર્યવાહી શરૂ કરી હતી. આ બનાવ અંગે રિક્ષા ચાલક ખુમાનસિંહ દોલતસિંહ પરમાર (રહે.ખીજડીયારી) ની ફરિયાદના આધારે શંખેશ્વર પોલીસે અજાણ્યા વાહનચાલક સામે કેસ નોંધી તેને પકડવા માટે ચક્રો ગતિશીલ કર્યા હોવાનું જાણવા મળ્યું છે.





