સિધ્ધપુરના નાગવાસણ ગામે ભાડાના મકાનને નિશાન બનાવી તસ્કરો સોનાની વિંટી, ચાંદીના શેરાની તસ્કરી કરી ગયા હોવાની ઘટના બનતાં પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે. બનાવની મળતી માહિતી મુજબ સિધ્ધપુર તાલુકાના નાગવાસણ ગામે એક મજૂર પરિવારના ભાડાના મકાનમાં અજાણ્યા તસ્કરોએ ઘરની જાળી તોડી પ્રવેશ કરી રૂ. 45,000 ની કિંમતના સોનાની વિંટી અને ચાંદીના શેરાની ચોરી કરી હતી. આ મામલે સિધ્ધપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે અજાણ્યા તસ્કરો સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી હોવાનું જાણવા મળ્યું છે.ચોરીની આ ઘટના નાગવાસણ ગામમાં રહેતા જસવંતભાઇ હરીભાઇ બારોટ પોતાનું વડીલો પાર્જિત મકાન નવું બનાવતા હોવાથી હાલમાં ગામમાં જ વિનુભાઈ પુજાભાઈ પરમારના મકાનમાં ભાડેથી રહે છે.
ગતરોજ રાત્રે જસવંતભાઇ પોતાની પત્ની સાથે વાળુ કરી નવા બનતા મકાન પાસે સૂઈ ગયા હતા.બીજા દિવસે સવારે 05:00 વાગ્યે તેઓ ભાડાના મકાન તરફ પરત ફર્યા ત્યારે ઘરના પાછળના ભાગે સિમેન્ટની જાળી તુટેલી જોવા મળી હતી. ઘરમાં તપાસ કરતા લોખંડની પેટીનો નકુચો તૂટેલો જણાયો હતો. પેટીની અંદરથી 4 ગ્રામ વજનની સોનાની વિંટી, જેની કિંમત આશરે 25,000 રૂપિયા છે, અને 100 ગ્રામ વજનની ચાંદીની પગની જોડી (શેરા), જેની કિંમત 20,000 રૂપિયા મળી કુલ 45,000 રૂપિયાનો મુદ્દામાલ ગાયબ હતો. આ ચોરી 10 મે, 2026 ની રાત્રીથી 11 મે, 2026 ની સવાર દરમિયાન થઈ હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.





