પવિત્ર શ્રાવણ માસમાં મંદિરના ગર્ભગૃહમાંથી ચાંદીની વસ્તુઓની ચોરીથી ગ્રામજનોની આસ્થાને ઠેસ
પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે ત્યારે કાંકરેજ તાલુકાના આકોલી ગામે આવેલા શ્રી રાધાકૃષ્ણ મંદિરમાં ચોરીની ઘટના સામે આવતા ગ્રામજનોમાં ચકચાર સાથે રોષ જોવા મળી રહ્યો છે. મંદિરના ગર્ભગૃહમાંથી ભગવાનને અર્પણ કરાયેલા ચાંદીના બે મુગટ અને એક ચાંદીનું છત્ર ગાયબ થતાં લોકોની ધાર્મિક લાગણી અને આસ્થાને ઠેસ પહોંચી છે.
મળતી માહિતી મુજબ, તા.18 ઓગસ્ટના રોજ મંદિરના પૂજારી દેવચંદભાઈ અરજણભાઈ જોષીએ વહેલી સવારે નિયમિત આરતી-પૂજા કરી હતી. ત્યારબાદ તેઓ બપોરે ઘરે ગયા હતા. સાંજે ફરી મંદિર ખાતે આરતી કરવા પહોંચતાં તપાસ દરમિયાન ચાંદીના બંને મુગટ અને છત્ર ગાયબ હોવાનું જણાયું હતું. ઘટનાની જાણ થતાં સાંજે આશરે સાત વાગ્યે ગ્રામજનો મંદિર ખાતે એકત્ર થયા હતા.
આ અંગે પૂજારી દેવચંદભાઈ જોષીએ તા. 19 ઓગસ્ટના રોજ શિહોરી પોલીસ સ્ટેશનમાં લેખિત રજૂઆત કરી હતી. જેના આધારે શિહોરી પોલીસે તપાસ હાથ ધરી છે. પોલીસે ઘટના સ્થળની તપાસ કરી સીસીટીવી ફૂટેજ તથા અન્ય સંભવિત પુરાવાના આધારે ચોરીનો ભેદ ઉકેલવા કાર્યવાહી શરૂ કરી છે. શ્રાવણ માસ જેવા પવિત્ર સમયગાળામાં મંદિરમાંથી ભગવાનને અર્પણ કરાયેલી ચાંદીની વસ્તુઓની ચોરી થતાં ગ્રામજનોમાં ભારે ચિંતા અને રોષ જોવા મળી રહ્યો છે. ચોરી કરનારને વહેલી તકે ઝડપી પાડી ચાંદીના મુગટ અને છત્ર પરત મેળવવામાં આવે તેવી ગ્રામજનો દ્વારા માંગ કરવામાં આવી છે.





