આરોગ્ય તંત્રની ટીમોએ ૩.૧૩ લાખથી વધુ ઘરોની મુલાકાત લીધી
સાબરકાંઠા જિલ્લામાં બાળ લકવા (પોલિયો) નાબૂદી અભિયાન અંતર્ગત આરોગ્ય તંત્ર દ્વારા ત્રણ દિવસ દરમિયાન વ્યાપક અને અત્યંત અસરકારક રસીકરણ કામગીરી હાથ ધરવામાં આવી હતી, જેમાં જિલ્લાના કુલ ૧,૭૨,૯૭૧ બાળકોને પોલિયો વિરોધી રસીના બે ટીપા પીવડાવીને તેમના સ્વસ્થ ભવિષ્ય માટે મહત્વપૂર્ણ સુરક્ષા પ્રદાન કરવામાં આવી છે.
આ રાષ્ટ્રીય અભિયાનના પ્રથમ દિવસે જ જનતા તરફથી ખૂબ જ ઉત્સાહજનક પ્રતિસાદ સાંપડ્યો હતો અને પ્રથમ દિવસે જ ૧,૪૮,૦૦૦ બાળકોને રસી આપવામાં આવી હતી, જ્યારે બીજા દિવસે ૧૭,૧૭૯ બાળકો અને ત્રીજા દિવસે ૭,૭૯૨ બાળકોને રસી આપીને કુલ લક્ષ્યાંક પૂર્ણ કરવામાં આવ્યો હતો. બુથ રસીકરણ પૂર્ણ થયા બાદ પણ જિલ્લાનું એક પણ બાળક આ સુરક્ષા ચક્રથી વંચિત ન રહી જાય તે માટે આરોગ્ય વિભાગની ટીમોએ ઘર-ઘર સુધી પહોંચવાની પ્રશંસનીય જવાબદારી નિભાવી હતી, જેના ભાગરૂપે બે દિવસ દરમિયાન આરોગ્ય કર્મચારીઓએ જિલ્લાના કુલ ૩,૧૩,૨૧૯ ઘરોની રૂબરૂ મુલાકાત લઈને દરેક બાળક સુધી પહોંચવાની ખાતરી કરી હતી.
આ સમગ્ર સઘન કામગીરીમાં ડોક્ટરો, નર્સિંગ સ્ટાફ, આશા વર્કરો, આંગણવાડી બહેનો તેમજ સ્વયંસેવકોના સંકલિત પ્રયત્નો, અથાણ મહેનત અને સમર્પણ ભાવ નોંધપાત્ર રહ્યા છે. જિલ્લા આરોગ્ય તંત્રના જણાવ્યા અનુસાર, આ અભિયાન માત્ર રસીકરણ પૂરતું મર્યાદિત નથી, પરંતુ જિલ્લાના દરેક બાળકને પોલિયોથી મુક્ત અને સ્વસ્થ જીવન આપવાનો એક દ્રઢ સંકલ્પ છે. આ સફળતા બાદ જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા તમામ માતા-પિતાને નમ્ર અપીલ કરવામાં આવે છે કે તેઓ ભવિષ્યમાં પણ સરકાર દ્વારા યોજાતા આવા તમામ રસીકરણ કાર્યક્રમોમાં સક્રિય સહભાગી બને અને પોતાના બાળકોના સ્વાસ્થ્યની સુરક્ષા સુનિશ્ચિત કરે, કારણ કે "બે ટીપા જીવનના – પોલિયોથી સદાકાળ રક્ષણ" એ જ સ્વસ્થ સમાજનો પાયો છે.





