સાબરકાંઠા જિલ્લામાં હિંમતનગર નગર પાલિકા ખાતે સામાજિક ન્યાય અને અધિકારિતા, શિક્ષણ વિભાગ તથા સાબરકાંઠા જિલ્લાના પ્રભારી મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજાની ઉપસ્થિતિમાં ‘૧૨ વર્ષ વિશ્વાસના, વિકાસના, જન કલ્યાણના’ અંતર્ગત ભવ્ય ‘જનકલ્યાણ શિબિર’ યોજાઈ હતી.આ શિબિરમાં મંત્રીના વરદ હસ્તે સરકારની વિવિધ જનલક્ષી યોજનાઓના લાભાર્થીઓને મંજૂરી પત્રો, પ્રમાણપત્રો તથા સહાયના લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં કુલ ૭૮ જેટલા લાભાર્થીઓએ લાભ મેળવ્યો હતો.
કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત જનમેદનીએ રાજ્ય અને કેન્દ્ર સરકારની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓ અંગે સવિસ્તાર માહિતી મેળવી હતી અને સ્થળ પર જ વિવિધ સેવાઓનો સીધો લાભ લીધો હતો. આ શિબિરમાં પી.એમ.જે.એ.વાય. (PMJAY) યોજના, રાષ્ટ્રીય વૃદ્ધ પેન્શન યોજના, નિરાધાર વૃદ્ધ અને દિવ્યાંગો માટેની આર્થિક સહાય યોજના, ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના તેમજ ઓળખ પત્ર સંબંધિત સેવાઓ સહિત અન્ય તમામ કલ્યાણકારી યોજનાઓના લાભો તથા જરૂરી સેવાઓ નાગરિકોને પૂરી પાડવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ રીનાબેન પટેલ, લોકસભા સાંસદ શોભનાબેન બારૈયા, રાજ્યસભાના સાંસદ રમીલાબેન, હિંમતનગરના ધારાસભ્ય વી.ડી. ઝાલા, પ્રાંતિજના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર, નગરપાલિકા પ્રમુખ અરુણાબેન કડિયા, જિલ્લા કલેક્ટર લલિત નારાયણ સિંઘ સાંદુ, જિલ્લા વિકાસ અધિકારી એચ.પી.પટેલ તથા અગ્રણી કનુભાઈ પટેલ સહિત વિવિધ પદાધિકારીઓ તેમજ નાગરિકો હાજર રહ્યા હતા.





