1,685 પદયાત્રી સંઘોનું રજીસ્ટ્રેશન, 7 હજાર પોલીસ-સરકારી કર્મચારીઓ સુરક્ષા વ્યવસ્થામાં તૈનાત રહેશે
વહીવટી અને પોલીસ અધિકારીઓની ઉપસ્થિતિમાં ભાદરવી પૂનમીયા સંઘ સેવા ટ્રસ્ટની વાર્ષિક બેઠક યોજાઈ; સંઘોની પાંચ મુખ્ય માંગણીઓના ઉકેલની તંત્રની ખાતરી
કરોડો શ્રદ્ધાળુઓની આસ્થાના કેન્દ્ર એવા શક્તિપીઠ અંબાજી ખાતે આગામી તા. 20થી 26 સપ્ટેમ્બર, 2026 દરમિયાન સાત દિવસીય ભાદરવી પૂનમ મહામેળો યોજાનાર છે. મહામેળાને લઈ વહીવટી તંત્ર અને પોલીસ દ્વારા તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. લાખો માઈભક્તો પદયાત્રા કરીને અંબાજી પહોંચવાના હોવાથી યાત્રિકોની સુવિધા, સ્વચ્છતા અને સુરક્ષા અંગે વિશેષ આયોજન કરવામાં આવી રહ્યું છે. મહામેળાની વ્યવસ્થા તથા પદયાત્રીઓની સુવિધા અંગે અંબાજીની વિજયા રિસોર્ટ ખાતે વહીવટી અને પોલીસ અધિકારીઓની ઉપસ્થિતિમાં ભાદરવી પૂનમીયા સંઘ સેવા ટ્રસ્ટની વાર્ષિક બેઠક યોજાઈ હતી. બેઠકમાં સમગ્ર ગુજરાતમાંથી આવેલા સંઘોના પ્રતિનિધિઓએ યાત્રિકોને પડતી મુશ્કેલીઓ અને સુવિધાઓ અંગે રજૂઆતો કરી હતી.
અંબાજી મંદિર ટ્રસ્ટના અધ્યક્ષ અને જિલ્લા કલેક્ટર મિહિર પટેલે જણાવ્યું હતું કે, ભાદરવી પૂનમ મહામેળો સુચારુ રીતે યોજાય તે માટે વિશેષ વ્યવસ્થા ઉભી કરવામાં આવશે. માઈભક્તોને સરળતાથી દર્શન થાય તેમજ સમગ્ર મેળા દરમિયાન સ્વચ્છતા જળવાઈ રહે તે માટે મંદિર ટ્રસ્ટ દ્વારા આયોજન કરવામાં આવશે.આ વર્ષે અત્યાર સુધીમાં 1,685 પદયાત્રી સંઘોનું રજીસ્ટ્રેશન થયું છે, જ્યારે ગત વર્ષે 1,585 સંઘોનું રજીસ્ટ્રેશન થયું હતું. ભાદરવી પૂનમીયા સેવા સંઘ દ્વારા રજૂ કરવામાં આવેલી પાંચ મુખ્ય માંગણીઓ અંગે પણ તંત્ર દ્વારા હકારાત્મક અભિગમ સાથે ઉકેલ લાવવાની ખાતરી આપવામાં આવી હતી.જિલ્લા વિકાસ અધિકારી એમ.જે. દવેએ મેળા દરમિયાન સ્વચ્છતા વ્યવસ્થા જાળવવા પર ભાર મૂક્યો હતો. અંબાજી મંદિરના વહીવટદાર તથા પ્રાંત અધિકારીએ મેળા દરમિયાન કરવામાં આવનાર વિવિધ વ્યવસ્થાઓ અંગે માહિતી આપી હતી.
બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુંબેએ જણાવ્યું હતું કે ભાદરવી પૂનમ મહામેળા દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેમજ માઈભક્તોની સુરક્ષા સુનિશ્ચિત થાય તે માટે આશરે 7 હજાર પોલીસ કર્મચારીઓ અને સરકારી કર્મચારીઓ ફરજ બજાવશે. અંબાજીની વ્યવસ્થાને 8 સેક્ટર અને 16 ઝોનમાં વહેંચી ખોડીવડલી કન્ટ્રોલ પોઈન્ટ પરથી 24 કલાક સુપરવિઝન કરવામાં આવશે.સંઘના મહામંત્રી યોગેશભાઈ પટેલે યાત્રિકોની સુવિધા, સંઘોની વ્યવસ્થા તથા મેળા દરમિયાન પડતી મુશ્કેલીઓના કાયમી ઉકેલ અંગે રજૂઆતો કરી હતી. જિલ્લા કલેક્ટર તથા વહીવટી તંત્રએ સંઘોના પ્રશ્નોનું નિરાકરણ લાવવાની ખાતરી આપી હતી. બેઠકમાં રાજ્યના મંત્રી કમલેશભાઈ પટેલ, ઋષિકેશ પટેલ અને પ્રવીણભાઈ માળી વ્યસ્તતાના કારણે હાજર રહી શક્યા નહોતા, પરંતુ તેમણે મહામેળો સફળતાપૂર્વક સંપન્ન થાય તેવી શુભેચ્છાઓ પાઠવી હતી.
આ પ્રસંગે જિલ્લા કલેક્ટર-ચેરમેન મિહિર પટેલ, જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુંબે, જિલ્લા વિકાસ અધિકારી એમ.જે. દવે, પ્રાંત અધિકારી હરણી કે.આર., અધિક કલેક્ટર અને મંદિર ટ્રસ્ટના વહીવટદાર કૌશિક મોદી, દાંતા મામલતદાર સહિત જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ અને સંઘોના પ્રતિનિધિઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.





