રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વરિષ્ઠ પ્રચારક ઇન્દ્રેશકુમારના માર્ગદર્શન હેઠળ હિમાલય પરિવાર દ્વારા લેહ-લદ્દાખમાં પવિત્ર સિંધુ નદીના કિનારે 30 મી સિંધુ દર્શનયાત્રા યોજાઈ હતી.જેને આ વર્ષે પ્રથમ વખત સિંધુ કુંભનું સ્વરૂપ આપવામાં આવ્યું હતું.
આ ઐતિહાસિક મહોત્સવમાં ભારતભરના શ્રદ્ધાળુઓ સહિત વિશ્વના 8 દેશોના વિદેશી રાજદૂતો અને ઉચ્ચાયુક્તો ખાસ ઉપસ્થિત રહ્યા હતા.સિંધુકુંભમાં પાટણ જિલ્લામાંથી 117 જેટલા યાત્રિકો જોડાયા હતા.આ કાર્યક્રમમાં આંતરરાષ્ટ્રીય પ્રતિનિધિઓના સંકલન અને વ્યવસ્થાપનની મહત્વની જવાબદારી હિમાલય પરિવાર, ગુજરાતના પ્રદેશ મહામંત્રી અને પાટણના વતની હાર્દિક પટેલને સોંપવામાં આવી હતી.રાજદૂતો સાથેની વાતચીતમાં તેમણે ગુજરાતના ગૌરવ સમાન સ્ટેચ્યુ ઓફ યુનિટી અને પાટણની વિશ્વ ધરોહર રાણીકી વાવના ઐતિહાસિક મહત્વથી માહિતગાર કર્યા હતા.આનાથી પ્રભાવિત થઈને ફિજી, ઇક્વાડોર, ચિલી,મોરેશિયસ, સાઉથ આફ્રિકા,શ્રીલંકા, ત્રિનિદાદ અને આયર્લેન્ડના રાજદૂતોએ આગામી દિવસોમાં ગુજરાતની મુલાકાત લેવાની સત્તાવાર પ્રતિબદ્ધતા જાહેર કરી છે. હાર્દિક પટેલે જણાવ્યું કે ટૂંક સમયમાં ગાંધીનગર ખાતે સિંધુકુંભના પવિત્ર જળના પૂજનનો વિશેષ કાર્યક્રમ યોજાશે.ત્યારબાદ રાજ્યના તમામ જિલ્લાઓમાં સંતો-મહંતો અને સામાજિક આગેવાનોના સહયોગથી હર ઘર સિંધુ જળ અભિયાન શરૂ કરવામાં આવશે. આ રાષ્ટ્રીય સંકલ્પ અંતર્ગત સિંધુ જળને માત્ર આસ્થાનું નહીં,પરંતુ રાષ્ટ્રીય એકતા અને સાંસ્કૃતિક અસ્મિતાના પ્રતીક તરીકે જન-જન સુધી પહોંચાડવામાં આવશે.





