'બેંક ખાતા ભાડે આપી છેતરપિંડીને હળવાશથી ન લઈ શકાય' : કોર્ટ
પાટણ સાયબર ક્રાઈમ પોલીસે 'ઓપરેશન મ્યુલ હન્ટ' અંતર્ગત રૂ. 16.65 કરોડના ગેરકાયદેસર નાણાકીય વ્યવહારો અને 139 સાયબર ફ્રોડ કેસમાં કાર્યવાહી હાથ ધરી હતી. આ કેસમાં ધરપકડ કરાયેલા આઠ આરોપીએ પાટણની ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની અદાલતમાં જામીન અરજીઓ દાખલ કરી હતી, જે અદાલતે સખત વલણ અપનાવીને નામંજૂર કરી દીધી છે.આર્થિક ગુનાઓની ગંભીરતાને ધ્યાનમાં રાખીને કોર્ટે અવલોકન કર્યું હતું કે, આવા કૃત્યોથી સમાજના સામાન્ય લોકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. આ ગુનો ભારતીય ન્યાય સંહિતા (BNS)ની કલમ 317(2), 317(4), 318(4) અને 61(2)(એ) હેઠળ નોંધવામાં આવ્યો હતો.જામીન અરજી કરનારા આરોપીઓમાં દિનેશભાઈ ઉર્ફે બરફી જયંતીભાઈ રાવળ (હારીજ), કનૈયાલાલ ઉર્ફે લાલાભાઈ ભરવાડ, મનોજ ઉર્ફે મનુભાઈ નાથ (પાટણ), યાકુબ ઉર્ફે મુન્નો મનસૂરી, વિશાલ રાવળ (ખીમિયાણા, તા. પાટણ), ભાર્ગવ રાજેશ પટેલ (પાટણ), વિજયસિંહ ઠાકોર અને રાજુજી ઠાકોરનો સમાવેશ થાય છે. આરોપીઓએ દલીલ કરી હતી કે, તેઓ નિર્દોષ છે અને અન્ય આરોપીઓએ તેમના બેંક ખાતાનો ઉપયોગ કર્યો હતો.
જોકે, સરકારી વકીલ આર. પી. ઓઝાએ કોર્ટ સમક્ષ રજૂઆત કરી હતી કે આ એક ગંભીર પ્રકારનો આર્થિક ગુનો છે. આરોપીઓએ આર્થિક લાભ મેળવવાની લાલચમાં પોતાના બેંક ખાતા ભાડે આપી ગુનાહિત કાવતરું રચ્યું હતું. આવા આરોપીઓને સરળતાથી જામીન મુક્ત કરવાથી સમાજ પર વિપરીત અસર પડી શકે છે.પાટણના ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ નૌશાદ વી. પઠાણે બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ ચુકાદામાં નોંધ્યું હતું કે, આરોપીઓએ પોતાના આર્થિક લાભ માટે બેંક ખાતું અન્ય આરોપીને ભાડે આપ્યું હતું.
આ ખાતાના ઉપયોગ થકી ઘણા નિર્દોષ લોકો સાથે છેતરપિંડી થઈ છે અને તેમના પૈસા આ ખાતામાં આવ્યા છે. કોર્ટે સ્પષ્ટ કર્યું કે જો આરોપીએ લાલચમાં આવી ખાતું ભાડે ન આપ્યું હોત તો આવો મોટો આર્થિક ગુનો અટકી શક્યો હોત, જેથી આવા કૃત્યને હળવાશથી લઈ શકાય નહીં. વર્તમાન સમયમાં આવા સાયબર અને આર્થિક ગુનાઓનું પ્રમાણ દિન-પ્રતિદિન વધતું જાય છે. તમામ સંજોગો અને ગુનાની ગંભીરતાને ધ્યાને રાખીને ન્યાયના હિતમાં આરોપીઓને જામીન પર મુક્ત કરવા યોગ્ય ન જણાતા કોર્ટે તમામ આઠ આરોપીઓની જામીન અરજીઓ નામંજૂર કરવાનો હુકમ કર્યો હોવાનું જાણવા મળ્યું છે.





