પાલનપુર શહેરના અત્યંત વ્યસ્ત અને સાંકડી ગલીઓ ધરાવતા ઢાળવાસ વિસ્તારમાં આવેલી સોની બજારની એક દુકાનમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી. સોના-ચાંદીના દાગીનાના શોરૂમ્સ અને વેપારી મથકોથી ધમધમતા આ વિસ્તારમાં આગ લાગતા જ આસપાસના દુકાનદારો અને લોકોમાં નાસભાગ મચી ગઈ હતી.
આગના ધુમાડાના ગોટેગોટા દૂરથી જોઈ શકાતા હતા, જેના કારણે સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. ઘટનાની ગંભીરતાને જોતા તાત્કાલિક પાલનપુર ફાયર બ્રિગેડ અને પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. ફાયર ફાઈટરો દ્વારા ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી, જેથી આગ વધુ પ્રસરે નહીં અને મોટી જાનહાનિ ટાળી શકાય. આગ લાગવાનું પ્રાથમિક કારણ શોર્ટ સર્કિટ હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.





