2006માં ચકચારી ડબલ મર્ડર કેસનો આરોપી હતો નયન સોની
પાલનપુરમાં ૨૦૦૬ના ચકચારી ડબલ મર્ડર કેસમાં આજીવન કેદની સજા ભોગવતો અને વર્ષ ૨૦૨૩થી પેરોલ જમ્પ કરી ફરાર રહેલો નયન ઉર્ફે યોગેશ સોની આખરે પોલીસના હાથે ઝડપાઈ ગયો છે. બનાસકાંઠા પેરોલ ફર્લો સ્કોડે ગુજરાતથી આશરે ૧૪૦૦ કિલોમીટર દૂર તેલંગાણા રાજ્યના સિદ્દીપેટ જિલ્લાના નંગનુર ગામમાંથી આરોપીને ઝડપી પાડ્યો છે.
પાલનપુર શહેરમાં વર્ષ ૨૦૦૬ માં બે હત્યાઓને અંજામ આપનાર નયન સોનીને કોર્ટ દ્વારા આજીવન કેદ અને દંડની સજા ફટકારવામાં આવી હતી. ત્યારબાદ તે અમદાવાદ મધ્યસ્થ જેલમાં પાકા કેદી તરીકે સજા ભોગવી રહ્યો હતો.વર્ષ ૨૦૨૩માં આરોપી ૯ જૂન થી ૨૫ જૂન સુધી પેરોલ પર બહાર આવ્યો હતો, પરંતુ પેરોલની મુદત પૂર્ણ થયા બાદ જેલમાં પરત ફર્યો નહોતો. ત્યારથી તે સતત ફરાર હતો.આરોપીને ઝડપી પાડવા બનાસકાંઠા રેન્જ IG પરીક્ષિતા રાઠોડ અને જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબેની સૂચના થી પેરોલ ફર્લો સ્કોડે અલગ- અલગ ટીમો બનાવી તપાસ શરૂ કરી હતી. પરિવારજનો, સગા-સંબંધીઓ અને મિત્ર વર્તુળની તપાસ સાથે ટેકનિકલ એનાલિસિસ અને હ્યુમન સોર્સ મારફતે સતત માહિતી એકત્ર કરવામાં આવી રહી હતી.
દરમિયાન ASI દિલીપદાન અને તેમની ટીમને એક વર્ષથી ચાલી રહેલા ‘ઓપરેશન નયન સોની’ અંતર્ગત મહત્વની બાતમી મળી હતી. નયન સોની પોતાની ઓળખ છુપાવીને તેલંગાણાના નંગનુર વિસ્તારમાં રસોઈનું કામ કરતો હોવાની માહિતી મળતા પોલીસ ટીમ તરત જ એક્શનમાં આવી હતી.આ સમગ્ર સફળ કામગીરી પેરોલ ફર્લો સ્કોડના PSI એન.વી. રહેવરના માર્ગદર્શન અને ટીમના સતત હ્યુમન સોર્સ તથા ટેકનિકલ ઇનપુટના આધારે પાર પડી હોવાનું પોલીસ દ્વારા જણાવાયું છે.





