ચાણસ્મામાં વ્યાજખોરોનો ત્રાસ સામે આવ્યો છે. જેમાં ફોટોગ્રાફીનો વ્યવસાય કરતા જન્મેજય તેજલમજી વાઘેલાએ કારોડા ગામના બે શખ્સો વિરુદ્ધ ઊંચા વ્યાજે નાણાં ધીરધાર કરી ધાક-ધમકી આપવા બદલ પોલીસ ફરિયાદ નોંધાવી છે.ફરિયાદીએ રૂ. 4 લાખના બદલામાં રૂ. 14.49 લાખ ચૂકવી દીધા હોવા છતાં, આરોપીઓ વધુ 3 લાખ રૂપિયાની પઠાણી ઉઘરાણી કરી જાનથી મારી નાખવાની ધમકી આપી રહ્યા હતા. વર્ષ 2023માં જન્મેજય વાઘેલાને તેના નાના ભાઈના લગ્ન પ્રસંગે નાણાંની જરૂરિયાત ઊભી થઈ હતી. આ સમયે તેના કુટુંબી માસીયાઈ ભાઈ અરવિંદજી બાબુજી ઠાકોરે તેને ભીખાભાઈ મફતલાલ પ્રજાપતિ પાસેથી 2 ટકા વ્યાજે રૂ. 4,00,000અપાવ્યા હતા.
શરૂઆતના આઠ મહિના સુધી 2 ટકા વ્યાજ વસૂલ્યા બાદ,આરોપીઓએ વ્યાજની ટકાવારી વધારી દીધી હતી.ફરિયાદીએ 4,00,000 રૂપિયાની સામે અત્યાર સુધીમાં રોકડા,ઓનલાઇન પેમેન્ટ અને સોનાની લોન ટ્રાન્સફર કરીને કુલ 14,49,650 રૂપિયા ચૂકવી દીધા છે.આટલી મોટી રકમ ચૂકવી દીધા છતાં,આરોપી ભીખાભાઈ પ્રજાપતિ અને અરવિંદજી ઠાકોર હજુ પણ રૂ. 3,લાખ બાકી હોવાનું કહીને ઉઘરાણી કરી રહ્યા છે. આરોપી અરવિંદજીએ ફરિયાદીની ઇકો ગાડીમાંથી 10 જેટલા કોરા ચેકો ચોરી લીધા હતા. અને વર્ષ 2024માં બળજબરીથી ગાડીની આર.સી. બુક પણ લઈ ગયો હતો. આરોપીઓ દ્વારા ફરિયાદીને વારંવાર ફોન પર ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકીઓ પણ આપવામાં આવતી હતી. વ્યાજખોરોના ત્રાસથી કંટાળીને જન્મેજય વાઘેલાએ અંતે ચાણસ્મા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. પોલીસે બી.એન.એસ. તથા ગુજરાત નાણાની ધીરધાર કરનારા બાબત અધિનિયમની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.





