અશોકજી ઠાકોરની ઈમાનદારીને આજની સલામ
થરાના 84 વિસ્તારમાં માનવતા અને પ્રમાણિકતાનું ઉત્તમ ઉદાહરણ સામે આવ્યું છે. ઊણેચા (ઠાકોર) ગામના અશોકજી પોપટજી (વડા) ને રસ્તામાં દાગીના ભરેલી થેલી મળી આવી હતી, જે તેમણે જરા પણ લોભ રાખ્યા વગર મૂળ માલિક વિપુલભાઈ મધાભાઈ પરમારને પરત સોંપી દીધી હતી. માહિતી મુજબ, એક વડીલ મહિલાના કિંમતી દાગીના ભરેલી થેલી ખોવાઈ જતા પરિવાર ચિંતામાં મુકાઈ ગયો હતો. આવા સમયમાં દાગીના પરત મળવું એ પરિવાર માટે મોટી રાહત સમાન બની રહ્યું હતું.
આ ઘટના દરમિયાન અશોકજી ઠાકોરે પોતાની નૈતિકતા અને સંસ્કારોનું ઉત્તમ પ્રદર્શન કર્યું હતું. તેમણે કોઈપણ પ્રકારનો સ્વાર્થ રાખ્યા વગર થેલી સીધી જ માલિક સુધી પહોંચાડી, જે સમાજ માટે પ્રેરણારૂપ બની છે. આ ઘટનાએ ફરી એકવાર સાબિત કર્યું છે કે આજે પણ સમાજમાં ઈમાનદારી જીવંત છે. જ્યારે અનેક લોકો સ્વાર્થ પાછળ દોડતા જોવા મળે છે, ત્યારે આવી ઘટનાઓ માનવતા અને વિશ્વાસને મજબૂત બનાવે છે.mગ્રામજનોએ અશોકજીના આ નેક કાર્યને બિરદાવતાં જણાવ્યું કે, “સૌથી મોટો ધર્મ માનવતા છે અને સૌથી મોટી સંપત્તિ પ્રમાણિકતા છે.” અશોકજી ઠાકોરના આ ઉત્તમ કાર્યને સમાજ તરફથી શત-શત નમન કરવામાં આવ્યા છે.





