રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ જાહેર થતાં જ આદર્શ આચારસંહિતાનો અમલ શરૂ થઈ ગયો છે. આચારસંહિતાના પાલન માટે સરકારી વિશ્રામગૃહોમાં બોર્ડ લગાવવામાં આવ્યા છે. હિંમતનગરમાં શહેરના મધ્યમાં આવેલા વિશ્રામગૃહ તેમજ હિંમતનગર-વિજાપુર-ઇડર બાયપાસ રોડ પરના નવા સર્કિટ હાઉસ ખાતે આદર્શ આચારસંહિતાના અમલ અંગેના બોર્ડ લગાવી દેવાયા છે.
સાબરકાંઠા જિલ્લામાં જિલ્લા પંચાયત, આઠ તાલુકા પંચાયત અને ત્રણ નગરપાલિકાની ચૂંટણી યોજાશે. આ ઉપરાંત પ્રાંતિજ નગરપાલિકાના એક વોર્ડમાં પેટાચૂંટણી પણ યોજાવાની છે. સાબરકાંઠા જિલ્લા પંચાયતની 34 બેઠકો અને આઠ તાલુકા પંચાયતની 170 બેઠકો માટે કુલ 1210 મતદાન મથકો પર 9,17,047 મતદારો EVM દ્વારા મતદાન કરશે.
નગરપાલિકાઓની વાત કરીએ તો, હિંમતનગર નગરપાલિકાના 11 વોર્ડમાં 88 મતદાન મથકો પર 72,741 મતદારો, ઇડર નગરપાલિકાના 7 વોર્ડમાં 26 મતદાન મથકો પર 25,532 મતદારો અને વડાલી નગરપાલિકાના 6 વોર્ડમાં 19 મતદાન મથકો પર 16,087 મતદારો મતદાન કરશે. પ્રાંતિજ નગરપાલિકાના વોર્ડ નંબર 2માં 4 મતદાન મથકો પર 3,616 મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે.





