ઇડર તાલુકાના વેરાબર ગામ પાસે આજે સવારે એક અત્યંત ખોફનાક અને કાળજા કંપી ઊઠે તેવો ભયાનક અકસ્માત સર્જાયો છે. સાબરમતી નદીના પેટાળમાંથી મોડી રાત્રે ગેરકાયદેસર રીતે ખોદી કાઢેલી ચોરીની રેતી ભરીને પૂરપાટ ઝડપે દોડતા એક રાક્ષસી ડમ્પરે વાનને એવી ભયંકર ટક્કર મારી કે વાનનો કડૂસલો બોલી ગયો હતો અને તેના ફાચડા ઊડી ગયા હતા! વાનમાં સવાર બે નિર્દોષ નાગરિકો લોહીલુહાણ થઈને રસ્તા પર પટકાયા હતા. ઘટના બનતાં જ સ્થળ પર ચીસાચીસ મચી ગઈ હતી. ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે ઇજાગ્રસ્તોને અત્યંત ગંભીર હાલતમાં તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયા છે, જ્યાં તેઓ જિંદગી અને મોત વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે.
આ કાળજા કંપાવી દેનારો અકસ્માત વેરાબર ગામના ૬૪ માતાના મંદિર નજીક બન્યો હતો. નિર્દોષ લોકોને રક્તરંજિત કરીને ડમ્પરનો બેફામ ચાલક ગાડી છોડીને સ્થળ પરથી ભાગી છૂટ્યો હતો. આ વિસ્તારના રસ્તાઓ હવે સામાન્ય માનવી માટે 'મૃત્યુના માર્ગ' બની ગયા છે. આ અકસ્માત કોઈ અકસ્માત નથી, પરંતુ સરકારી કચેરીઓમાં એસી ગાડીઓ અને વાતાનુકૂલિત ઓફિસોમાં બેઠેલા અધિકારીઓની ઘોર બેદરકારીનું પરિણામ છે!
મોડી રાત્રે સાબરમતી નદીમાંથી ટનબંધ રેતીની ખુલ્લેઆમ ચોરી થાય છે, ઓવરલોડ ડમ્પરો રતનપુર અને રાણી બોર્ડર પાર કરીને રાજસ્થાન સુધી ઘૂસી જાય છે... તો પછી ખાણ-ખનિજ વિભાગની કચેરીના અધિકારીઓ શું આંખો બંધ કરીને બેઠા છે? આ સરકારી ઓફિસના જવાબદારો ક્યારે જાગશે? શું ઓફિસમાં બેસીને માત્ર કાગળો જ અથડાવાના છે કે પછી આ લોહી તરસ્યા માફિયાઓ પર કડક પગલાં પણ લેવાશે? દિવસેને દિવસે આ માર્ગ પર ઓવરલોડ ડમ્પરોનો ત્રાસ એટલો વધી ગયો છે કે સામાન્ય નાગરિકોનું ઘરની બહાર નીકળવું હરામ થઈ ગયું છે. આ ગેરકાયદે ખનિજ ચોરી અને બેફામ દોડતા ડમ્પરો પર જો ખાણ-ખનિજ વિભાગની ઓફિસ દ્વારા તાત્કાલિક કાયમી ધોરણે રોક લગાવવામાં નહીં આવે અને દોષિતોના લાઇસન્સ રદ કરીને જેલભેગા કરવામાં નહીં આવે, તો આવનારા દિવસોમાં જનતા સરકારી કચેરીઓ સામે ઘેરાવ કરીને આક્રોશનો વિસ્ફોટ કરશે!





