મોડાસા શહેરની વિવિધ હોટલો અને ખાદ્યચીજોના ધંધાર્થીઓની તપાસ હાથ ધરાઈ; કુલ ૧૧ પેઢીની તપાસ કરી ૧૨ નમૂના લેવામાં આવ્યા
અરવલ્લી જિલ્લામાં નાગરિકોને શુદ્ધ, સલામત અને ગુણવત્તાસભર ખાદ્યચીજો મળી રહે તે હેતુસર ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, અરવલ્લી દ્વારા ખાદ્યચીજોના વેચાણ અને ઉપયોગ અંગે સઘન તપાસ હાથ ધરવામાં આવી રહી છે. આ અંતર્ગત એનાલોગ પનીર અંગે પણ તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે.
ડેઝિગ્નેટેડ ઓફિસર બી.એમ. ગણાવાના સીધા માર્ગદર્શન હેઠળ સિનિયર ફૂડ સેફ્ટી ઓફિસર યુ.આર. દરજી દ્વારા મોડાસા શહેરની વિવિધ હોટલો અને ખાદ્યચીજોની પેઢીઓમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન હોટલ નેશનલ, મેટ્રો હોટલ, સૌરાષ્ટ્ર મીઠાઈ સહિતની કુલ ૧૧ પેઢીઓની તપાસ કરવામાં આવી હતી.તપાસ દરમિયાન ખાદ્યચીજોના કુલ ૧૨ નમૂના લેવામાં આવ્યા હતા. જેમાં ૯ સર્વેલન્સ નમૂનાઓનો સમાવેશ થાય છે. સર્વેલન્સ નમૂનાઓમાં તૈયાર સબ્જી/ખાદ્યચીજોના ૬, પનીરનો ૧, મીઠાઈનો ૧ તથા નમકીનનો ૧ નમૂનો લેવામાં આવ્યો હતો. જ્યારે પનીર, પનીર અંગારા અને પેંડા સહિતના કુલ ૩ નમૂના પરીક્ષણ માટે લેવામાં આવ્યા છે.
લેવામાં આવેલા નમૂનાઓને ગુણવત્તા અને સલામતીની ચકાસણી માટે ગુજરાત રાજ્યની ફૂડ લેબોરેટરી ખાતે પરીક્ષણ અર્થે મોકલવામાં આવશે. લેબોરેટરીમાંથી પરીક્ષણના પરિણામ પ્રાપ્ત થયા બાદ નિયમોનુસાર આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.તપાસ દરમિયાન મોડાસા શહેરમાં એનાલોગ પનીરનો કોઈ જથ્થો મળી આવ્યો નથી તેમજ અરવલ્લી જિલ્લામાં એનાલોગ પનીરનું ઉત્પાદન કરતી કોઈ ઉત્પાદક પેઢી હોવાનું પણ જણાયું નથી. તંત્ર દ્વારા હોટલ અને ખાદ્યચીજોના વ્યવસાયકારોને ગ્રાહકોના આરોગ્યની સુરક્ષાને ધ્યાનમાં રાખી શુદ્ધ અને ગુણવત્તાસભર પનીરનો જ ઉપયોગ કરવા સૂચના આપવામાં આવી હતી.આ અંગે ડેઝિગ્નેટેડ ઓફિસર બી.એમ. ગણાવાએ જણાવ્યું હતું કે, જિલ્લામાં ખાદ્યચીજોની ગુણવત્તા અને સલામતી જળવાઈ રહે તે માટે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા નિયમિત તપાસ અને નમૂના લેવાની કામગીરી સતત ચાલુ રાખવામાં આવશે.





