ઈડરના ઝિંઝવા ગામે સાત મહિના અગાઉ મહાકાળી માતાના મંદિરના મહંતની હત્યાનો ભેદ ઈડર પોલીસે ઉકેલી નાખ્યો છે. પોલીસે આ કેસમાં પાંચ આરોપીઓની ધરપકડ કરી છે. આ હત્યા 27 ઓક્ટોબર 2025ના રોજ રાત્રે ચોરીના ઈરાદે કરવામાં આવી હતી. 28 ઓક્ટોબર 2025ના રોજ ઈડર પોલીસ સ્ટેશનમાં આ અંગે ફરિયાદ નોંધાઈ હતી. મહંતની હત્યાના પગલે સમગ્ર જિલ્લાનું પોલીસ તંત્ર સક્રિય બન્યું હતું. સાબરકાંઠા પોલીસ અધિક્ષક ડો. પાર્થરાજ ગોહિલે આ હત્યાનો ગુનો ઉકેલવા સૂચનાઓ આપી હતી. તપાસ દરમિયાન ઈડર પી.આઈ.આર.એ. ચૌધરી અને સર્વેલન્સ સ્ક્વોડના પી.એસ.આઈ. વી.આર. ચૌહાણને બાતમી મળી હતી. આ બાતમી ઝિંઝવા ગામે મહંત પૂર્ણાનંદ સ્વામીની હત્યા બાબતે હિમેશ ઉર્ફે માર્ટિન પ્રકાશભાઈ અસારી (રાપર, વેરળાવ ખાતે રાજન કંપનીમાં સિક્યુરિટી) વિશે હતી.
માર્ટિનની પૂછપરછ કરતા તેણે જણાવ્યું કે ઝિંઝવા ખાતેના મંદિરમાં 20 થી 25 લાખના દાગીના અને 10 લાખ રોકડા હોવાની માહિતી જુજારસિંહ વણઝારાએ આપી હતી. આ માહિતીના આધારે માર્ટિન, રોહિત જુજાર વણઝારા, અંકુરભાઈ કાંતિભાઈ પાંડવ, રવિ ઉર્ફે ભરતભાઈ વાઘેલા અને જીતેન્દ્ર ઉર્ફે જેકી રામજીભાઈ અસોડાએ ચોરીનું કાવતરું ઘડ્યું હતું. 27 ઓક્ટોબર 2025ની રાત્રે તેઓ ચોરી કરવા મંદિરમાં પ્રવેશ્યા હતા. દરવાજો ખોલતા મહંત જાગી ગયા હતા. પોતાની ઓળખ છુપાવવા માટે આરોપીઓએ મહંત પર જીવલેણ હુમલો કર્યો. અને ઉપરાઉપરી છરીના ઘા મારી તેમની હત્યા કરી નાખી હતી.
ઈડર પોલીસે તમામ પાંચ આરોપીઓની ધરપકડ કરી છે. પકડાયેલા તમામ આરોપીઓ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. માર્ટિન વિરુદ્ધ ભિલોડા પોલીસ સ્ટેશનમાં બે ગુના, રોહિત વણઝારા વિરુદ્ધ ઈડર પોલીસ સ્ટેશનમાં ગુનો, રવિ વાઘેલા વિરુદ્ધ જાદર પોલીસ સ્ટેશનમાં ગુનો અને જીતુ અસોડા વિરુદ્ધ ઈડર તથા ભિલોડા પોલીસ સ્ટેશનમાં ગુના નોંધાયેલા છે. ઈડર પોલીસે સાત મહિનાથી આ ગુનેગારોને પકડવા માટે સઘન પ્રયાસો કર્યા હતા અને આખરે તેમને સફળતા મળી છે. પોલીસે આ અનડિટેક્ટેડ ગુનો ઉકેલી પ્રશંસનીય કામગીરી કરી છે.





