ઈન્ડિયન રેડ ક્રોસ સોસાયટી, સાબરકાંઠા જિલ્લા શાખા, હિંમતનગર દ્વારા નવીન રેડ ક્રોસ ભવન ના નિર્માણ માટે ગુરુવારે સવારે 10-30 કલાકે એરોડ્રામ, લક્ષ્મીપુરાકંપા, મહાવીરનગર વિસ્તારમાં આવેલા સ્થળે ભવ્ય ભૂમિપૂજન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે દાતા અભયભાઈ શાહ, દક્ષેશભાઈ શાહ, ધારાસભ્ય વી.ડી. ઝાલા, નગરપાલિકા પ્રમુખ અરુણાબેન કડિયા, જિલ્લા કલેકટર લલિત નારાયણ સિંઘ સાંદુ, આઈ.એમ.એ. પ્રમુખ કલેશભાઈ પ્રજાપતિ, સી.સી. શેઠ, મહેશભાઇ પટેલ, પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયા સહિત ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે શાસ્ત્રોક્ત વિધિપૂર્વક ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. ઈન્ડિયન રેડ ક્રોસ સોસાયટી દ્વારા વર્ષોથી સાબરકાંઠા જિલ્લામાં રક્તદાન, બ્લડ બેંક, પેથોલોજી લેબોરેટરી, ફિઝિયોથેરાપી, ડેન્ટલ સેવા, એક્ષ-રે. મેડિકલ સ્ટોર્સ, રસીકરણ, એમ્બ્યુલન્સ સેવા, મોબાઈલ મેડિકલ યુનિટ સહિત વિવિધ માનવતાવાદી અને આરોગ્યલક્ષી સેવાઓ આપવામાં આવી રહી છે. નવીન ભવનનું નિર્માણ પૂર્ણ થયા બાદ રેડ ક્રોસની વિવિધ સેવાઓને વધુ સુવ્યવસ્થિત રીતે વિસ્તારી શકાશે તેમજ જરૂરિયાતમંદ લોકો સુધી આરોગ્ય અને માનવતાવાદી સેવાઓ વધુ અસરકારક રીતે પહોંચાડી શકાશે.
કાર્યક્રમમાં રેડ ક્રોસના ચેરમેન ભુપેન્દ્રભાઇ શાહ, વા.ચેરમેન વી.એ. ગોપલાણી, ટ્રેજરર જીતુભાઈ એન.પટેલ, સભ્યો પીયૂષભાઈ દવે, સતિષભાઇ શાહ, હરેશભાઈ વ્યાસ, વિપુલભાઈ સાંખલા, સર્જનસિંહ જેતાવત, રમેશભાઈ શાહ સહિત હોદ્દેદારો અને સભ્યો, દાતાશ્રીઓ, સામાજિક આગેવાનો, અધિકારીઓ તથા શુભેચ્છકોએ ઉપસ્થિત રહી આ મહત્વપૂર્ણ પ્રસંગના સાક્ષી બન્યા હતા. ઉપસ્થિત મહાનુભાવોએ નવા ભવનના નિર્માણ માટે શુભકામનાઓ પાઠવી હતી અને રેડ ક્રોસની સેવાકીય પ્રવૃત્તિઓને વધુ વેગ મળે તેવી શુભેચ્છા વ્યક્ત કરી હતી.





