અરવલ્લી જિલ્લામાં પર્યાવરણ સંરક્ષણ, વન વિસ્તારના સંવર્ધન અને જનભાગીદારીથી હરિયાળી વધારવાના ઉમદા સંકલ્પ સાથે ૭૭મા વન મહોત્સવની જિલ્લા કક્ષાની ઉજવણી મેઘરજ ખાતે આદિજાતિ વિકાસ તથા અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી પી.સી. બરંડાના અધ્યક્ષ સ્થાને ઉત્સાહભેર યોજાઈ હતી. આ પ્રસંગે જિલ્લા સંગઠન પ્રભુખ ભીખાજી ઠાકોર સહિત મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું તેમજ વિવિધ યોજનાઓના લાભાર્થીઓને ચેક, પ્રશસ્તિપત્ર અને પ્રમાણપત્રોનું વિતરણ કરાયું હતું. કાર્યક્રમમાં સંબોધન કરતાં મંત્રી પી.સી. બરંડાએ જણાવ્યું હતું કે, જિલ્લામાં વનવિસ્તારના વિસ્તરણ માટે ચાલુ વર્ષે ૩૫ લાખથી વધુ વૃક્ષો વાવવાનું આયોજન છે અને 'એક પેડ મા કે નામ' અભિયાન અંતર્ગત પણ વ્યાપક વૃક્ષારોપણ થઈ રહ્યું છે; વન મહોત્સવ માત્ર વાવેતર પૂરતો સીમિત ન રહેતાં વાવેલા રોપાનું યોગ્ય જતન અને સંવર્ધન થાય તે માટે લોકભાગીદારી અનિવાર્ય છે.
જિલ્લા પંચાયત પ્રમુખ મયુર પટેલે વધતા પ્રદૂષણ, જળસંકટ અને આબોહવા પરિવર્તન સામે વૃક્ષારોપણને સૌથી અસરકારક ઉપાય ગણાવી 'વૃક્ષ વાવો, વૃક્ષ ઉછેરો અને પર્યાવરણ બચાવો'ના મંત્ર સાથે સૌને હરિયાળી ક્રાંતિમાં જોડાવવા આહવાન કર્યું હતું. આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ મયુર પટેલ, જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજા, કેવડિયા વિભાગ SOUADTGA ના નાયબ વન સંરક્ષક પ્રસાદ રવિ રાધાક્રિષ્ના (IFS), સાબરકાંઠા સામાજિક વનીકરણ વિભાગના નાયબ વન સંરક્ષક ડૉ. ડી.એફ. ગઢવી (IFS), અરવલ્લી વન વિભાગના નાયબ વન સંરક્ષક શ્રીકાન્ત કેલગંદ્રે (IFS), જિલ્લા-તાલુકાના પદાધિકારીઓ, વન વિભાગના અધિકારી-કર્મચારીઓ તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.





