ખનીજચોરો સહિત 35 બાકીદારો પાસેથી રૂ.55 કરોડની વસુલાત કરવા મિલકત જપ્તનો આદેશ
પાટણ જિલ્લામાં લીઝ અને બિનઅધિકૃત ખનન મામલે સરકારની કડક કાર્યવાહી સામે આવી છે.વર્ષોથી બાકી રહેલા કરોડોના દંડની વસુલાત ન થતાં કલેકટર દ્વારા ખનીજચોરો સહિત 35 બાકીદારો સામે રેવન્યુ રિકવરી સર્ટિફિકેટ (RRC) જારી કરવામાં આવ્યા છે, જેથી હવે મામલતદારો દ્રારા વસુ
લાત માટેની કામગીરી તેજ કરાશે. જિલ્લામાં ખાણ ખનીજ વિભાગ દ્વારા લીઝની શરતોના ભંગ અને બિન અધિકૃત ખનન બદલ વસુલવાના દંડ પેટે કુલ 28 કેસોમાં 35 બાકી દારો પાસેથી અંદાજે રૂ.55 કરોડ જેટલી રકમ બાકી છે. આ બાકીદારી છેલ્લા દસ વર્ષથી લઇ ગયા વર્ષ સુધીની હોવાનું સામે આવ્યું છે.આ વસુલાત માટે વિભાગે તમામ કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કરી હોવા છતાં રકમ ભરપાઈ ન થતાં,અંતે કલેકટર તુષાર ભટ્ટ દ્વારા રેવન્યુ રિકવરી એક્ટ-1890 હેઠળ RRC સર્ટિફિકેટ ઇસ્યુ કરવામાં આવ્યા છે.હવે આ સર્ટિફિકેટના આધારે મામલતદારો સંબંધિત પેઢીઓ અને વ્યક્તિઓ પાસેથી મહેસૂલી રીતે રકમ વસુલ કરશે.
પ્રથમ તબક્કે બાકી રકમ ભરવા માટે નોટિસ અપાશે.જો તેમ છતાં ભરપાઈ નહીં થાય તો સંબંધિત વ્યક્તિની મિલકત પર ‘ટાઈ’ મૂકીને અંતે હરાજી કરવાની કાર્યવાહી હાથ ધરાશે. સૂત્રોના જણાવ્યા અનુસાર આવી સ્થિતિમાં સામાન્ય રીતે લોકો રકમ ભરવા માટે આગળ આવે છે, પરંતુ અંતિમ વિકલ્પ તરીકે મિલકતની હરાજી પણ કરવામાં આવે છે. કલેકટર તુષાર ભટ્ટે જણાવ્યું હતું કે RRC આધારે મામલતદારો પગલાં લેશે.પહેલા રકમ ભરવા કહેવામાં આવશે, નહીં ભરાય તો મિલકત જપ્ત કરી અંતે હરાજી દ્વારા વસુલાત કરવામાં આવશે. સરકાર ના આ કડક નિર્ણયને પગલે પાટણ જિલ્લાના બાકીદારોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે.





