ડીસાના નહેરૂનગર, ટેકરા વિસ્તારમાં થયેલ સાપરાધ માનવ વધના ચકચારી કેસમાં નામદાર પાંચમી એડિશનલ સેશન્સ કોર્ટે (નામદાર સુશ્રી એસ.એમ. કાનાબાર) એક મહત્વપૂર્ણ અને દાખલા રૂપ ચુકાદો સંભળાવ્યો છે. કોર્ટે ત્રણેય આરોપીઓને કસૂરવાર ઠેરવી ૧૦ વર્ષની સખત કેદ અને કુલ રૂ. ૬,૦૦,૦૦૦ નો દંડ કરવાનો ઐતિહાસિક હુકમ કર્યો છે.
આ કેસની વિગત એવી છે કે, ગત તા. ૨૫/૦૪/૨૦૨૨ ના રોજ ફરિયાદી તથા મરણ જનાર જગદીશભાઈ બાબુભાઈ ઠાકોર આરોપીઓના ઘરે ગયા હતા. ત્યાં હાજર આરોપીઓ કનુભાઈ નરસિંહભાઈ ઠાકોર, રાજુભાઈ નરસિંહભાઈ ઠાકોર અને કિશનભાઈ નરસિંહભાઈ ઠાકોર આગળ તેમણે પૂછપરછ કરી હતી કે "તમારો ભાઈ વિશાલ, મનીષાબેનને ભગાડી ગયો હોય તેવી શંકા છે, જેથી બંને ક્યાં છે ?" આ વાત સાંભળી ત્રણેય આરોપીઓ ઉશ્કેરાઈ ગયા હતા અને ગાળો બોલવા લાગ્યા હતા. ત્યારબાદ આરોપી નં. એકે હાથમાં રહેલા ધોકા વડે મરણ જનારના માથાના ભાગે ગંભીર ઈજા પહોંચાડી હતી.આરોપી નં. બે એ છરા વડે જગદીશભાઈના જમણા હાથના અંગૂઠા પર હુમલો કર્યો હતો.અને ત્રીજા આરોપીએ તલવાર વડે ડાબા હાથની કોણી પર જીવલેણ ઘા માર્યા હતા.આ ગંભીર ઈજાઓના કારણે જગદીશભાઈ બાબુભાઈ ઠાકોરનું મોત નીપજ્યું હતું.
આ અંગે ડીસા ઉત્તર પોલીસ સ્ટેશનમાં સેસન્સ કેસ ઈ.પી.કો. કલમ ૩૦૨, ૩૨૩, ૨૯૪(ખ), ૩૪ મુજબ ગુનો નોંધાયો હતો અને તપાસ બાદ કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરવામાં આવી હતી. આ કેસ ડીસાની પાંચમી એડિશનલ સેશન્સ કોર્ટમાં ચાલી જતાં, સરકારી વકીલ વિપુલ બી. કંસારા તથા ફરિયાદી પક્ષના વકીલ ડી. જે. તિવારી દ્વારા સાંયોગિક પુરાવાના આધારે આરોપીઓને વધુમાં વધુ સજા થાય તેવી ભારપૂર્વક કાનૂની દલીલો કરવામાં આવી હતી.
નામદાર કોર્ટે સરકારી વકીલ અને ફરિયાદીના વકીલની દલીલો તથા પુરાવા ગ્રાહ્ય રાખી ત્રણેય આરોપી (રહે. નહેરૂનગર, ટેકરા વિસ્તાર, ડીસા) ને ઈ.પી.કો. કલમ ૩૦૨ તથા ૩૪ હેઠળ કસૂરવાર ઠેરવી ૧૦ વર્ષની સખત કેદ અને ત્રણેય આરોપીઓને રૂ. ૨-૨ લાખ મળીને એકંદર રૂ. ૬,૦૦,૦૦૦/- નો દંડ તેમજ દંડ ન ભરે તો વધુ ૧-૧ વર્ષની કેદ ભોગવવાની રહેશે. દંડની વસૂલાત બાદ સમગ્ર રૂ. ૬ લાખની રકમ મરણ જનાર જગદીશભાઈના પરિવારને વળતર પેટે ચૂકવવાનો આદેશ કરવામાં આવ્યો છે. સમાજમાં ગુનાહિત પ્રવૃત્તિ ધરાવતા ઈસમોમાં કાયદાનો ડર બેસે અને ભવિષ્યમાં આવા ગુનાઓનું પુનરાવર્તન ન થાય તે હેતુથી નામદાર કોર્ટે આપેલો આ ચુકાદો આવકારદાયક અને દાખલા રૂપ બની રહ્યો છે.





