નશીલા પદાર્થોની હેરફેર, કાળા બજાર અને ગુનાહિત પ્રવૃત્તિઓ પર નિયંત્રણ માટે મુખ્ય માર્ગો અને પ્રવેશદ્વારે કેમેરા ગોઠવવાની માંગ
વાવ-થરાદ જિલ્લાના રાહ તાલુકા મથકે છેલ્લા કેટલાક સમયથી અસામાજિક તત્વોની વધતી પ્રવૃત્તિઓને લઈને ગ્રામજનોમાં ચિંતા વ્યાપી છે. તાલુકા કક્ષાનું મહત્વ ધરાવતા રાહ ગામમાંથી ધાનેરા, થરાદ, જેતડા તેમજ રાજસ્થાન તરફ જતા મુખ્ય માર્ગો પસાર થતા હોવાથી ગામ ટ્રાફિક અને અવરજવરનું મહત્વનું કેન્દ્ર ગણાય છે.
ગ્રામજનોના જણાવ્યા મુજબ કેટલાક અસામાજિક તત્વો દ્વારા નશીલા પદાર્થો જેવી કે અફીણ, પોશડોડા અને દારૂની હેરફેર કરવામાં આવતી હોવાના આક્ષેપો ઉઠી રહ્યા છે. ઉપરાંત રાત્રિના સમયે અબોલ પશુઓને લઈ જતાં વાહનો તેમજ કાળા બજાર સાથે સંકળાયેલા લોકો પણ રાહ ગામના માર્ગોનો ઉપયોગ કરતા હોવાની ચર્ચાઓ ચાલી રહી છે.આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખી રાહ ગામના મુખ્ય ચાર રસ્તા, બજાર વિસ્તાર અને ગામના પ્રવેશદ્વારો પર સીસીટીવી કેમેરા ગોઠવવાની લોકમાગ ઉઠી છે. ગ્રામજનોનું માનવું છે કે સીસીટીવી કેમેરા લગાવવામાં આવશે તો ગુનાહિત પ્રવૃત્તિઓ પર નિયંત્રણ લાવવામાં મદદ મળશે તેમજ કોઈપણ બનાવ કે ઘટનામાં પોલીસ અને વહીવટી તંત્રને ચોક્કસ પુરાવા પણ મળી શકશે.
સ્થાનિક લોકો દ્વારા વિધાનસભાના સ્પીકર અને થરાદ ના ધારાસભ્ય શંકરભાઈ ચૌધરી સાહેબ તેમજ સંબંધિત તંત્રને આ મામલે તાત્કાલિક ધ્યાન આપી રાહ ગામમાં સીસીટીવી સર્વેલન્સ વ્યવસ્થા ઉભી કરવા માંગ કરવામાં આવી છે. ગ્રામજનો આશા વ્યક્ત કરી રહ્યા છે કે જાહેર સુરક્ષા અને કાયદો-વ્યવસ્થા મજબૂત બનાવવા આ માંગને વહેલી તકે સ્વીકારવામાં આવશે.





