અરવલ્લી જિલ્લાના પ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી નજીક આવેલો મેશ્વો ડેમ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે, પરંતુ હાલમાં આ ડેમ તરફ જતો રસ્તો વાહનચાલકો માટે ભારે જોખમી સાબિત થઈ રહ્યો છે. મેશ્વો ડેમ રોડ પર લાંબા અંતર સુધી પ્રોટેક્શન વોલ (સુરક્ષા દીવાલ) ન હોવાને કારણે અહીંથી પસાર થતા સ્થાનિકો અને પ્રવાસીઓ માથે સતત અકસ્માતનું સંકટ તોળાઈ રહ્યું છે.
ખાસ કરીને વળાંકો અને ઊંડી ખીણવાળા ભાગો પર કોઈ પણ પ્રકારની આડશ કે રેલિંગ ન હોવાથી રાત્રિના સમયે અથવા ચોમાસા દરમિયાન વાહન નીચે ખાબકવાનો ભય રહે છે. તંત્રની ઘોર બેદરકારી સામે સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને કોઈ મોટી હોનારત સર્જાય તે પહેલાં અહીં મજબૂત પ્રોટેક્શન વોલ બનાવવામાં આવે તેવી ઉગ્ર માંગ ઉઠી છે.





