રખેવાલ
બ્રેકિંગ
બનાસકાંઠા24 જુલાઈ, 2025

બનાસકાંઠામાં ભારત માલા પ્રોજેક્ટ : જમીન સંપાદનને લઈ ખેડૂતોમાં ભારે નારાજગી

બનાસકાંઠામાં ભારત માલા પ્રોજેક્ટ : જમીન સંપાદનને લઈ ખેડૂતોમાં ભારે નારાજગી
25 મીએ ડીસાની બેઠકમાં આગળની રણનીતિ ઘડાશે વળતરમાં ભારે ભેદભાવને લઈ ખેડૂતો આંદોલનના મૂડમાં; બનાસકાંઠા જિલ્લામાં ભારત માલા પ્રોજેક્ટ હેઠળ જમીન સંપાદનના મુદ્દે ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ખેડૂતોને તેમની જમીનનું યોગ્ય વળતર ન મળતાં તેઓ નારાજ છે. આ અંગે વારંવાર રજૂઆતો કરવા છતાં કોઈ સંતોષકારક પરિણામ ન આવતાં ખેડૂતો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવાની તૈયારીમાં લાગ્યા છે. પાલનપુરમાં જિલ્લા કલેક્ટરને મળવા આવેલા જસાલીના ખેડૂત આગેવાન અમરાભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે ભારત માલા પ્રોજેક્ટમાં જમીન ગુમાવનાર ખેડૂતોને યોગ્ય વળતર ન મળતાં ખેડૂતોમાં આક્રોશ વ્યાપ્યો છે.કારણ જમીન સંપાદનમાં સાચા ખેડૂતોને માત્ર 22 થી 25 રૂ.મીટર અને ઉદ્યોગપતિઓને 4300 થી 5000 રૂ.મીટર વળતર ચુકવવામાં આવે છે. આ હળાહળ અન્યાય અને ભેદભાવને લઈ ખેડૂતો લડી લેવાના મૂડમાં છે. તેથી આ લડતને આગળ વધારવા માટે 25 મી તારીખે ડીસા ખાતે મોટી સંખ્યામાં ખેડૂતો એકઠા થશે અને થરાદથી ગાંધીનગરની ટ્રેકટર રેલી સહિત ભવિષ્યની રણનીતિ ઘડાશે. તેમજ આ બેઠકમાં આંદોલનની રૂપરેખા નક્કી કરવામાં આવશે. ખેડૂતોએ ચીમકી ઉચ્ચારી છે કે જો આગામી સમયમાં યોગ્ય વળતરની તેમની માંગણીઓ નહીં સંતોષાય તો તેઓ ઉગ્ર આંદોલન કરશે.

સંબંધિત સમાચાર