ખેડૂતોને સિંચાઈના પાણીની મુશ્કેલી ટાળવા ઈજનેરને પત્ર લખ્યો
પાટણ તાલુકાના રુવાવી ગામમાંથી પસાર થતી અને ક્ષતિગ્રસ્ત બનેલ સુજલામ સુફલામ કેનાલના સમારકામ માટે રજૂઆત કરવામાં આવી છે. પાટણ જિલ્લા ભાજપ અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ દ્વારા વિસનગરના સુજલામ સુફલામ વિભાગ-8ના કાર્યપાલક ઈજનેરને આ અંગે લેખિત પત્ર લખી રજૂઆત કરી છે.કેનાલની ક્ષતિગ્રસ્ત સ્થિતિને કારણે ખેડૂતોને સિંચાઈના પાણીના વહનમાં અડચણ ઊભી થવાની શક્યતાઓ રહેલી હોય પાણીનો વ્યય થવાની અને સિંચાઈ માટે પૂરતું પાણી ન મળવાની ભીતિ ખેડૂતો દ્વારા વ્યક્ત કરવામાં આવી હતી.
આ બાબતે રુવાવી ગ્રામ પંચાયતના સરપંચ દ્વારા પણ અગાઉ રજૂઆત કરવામાં આવી હતી. તેમની રજૂઆતના આધારે પાટણ તાલુકા પંચાયતના સામાજિક ન્યાય સમિતિના પૂર્વ ચેરમેન અને પાટણ જિલ્લા ભાજપ અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ દ્વારા વિસનગર સંબંધિત વિભાગ સમક્ષ આ પ્રશ્ન ઉઠાવી કાર્યપાલક ઈજનેરને કેનાલની ક્ષતિગ્રસ્ત જગ્યાઓની તાત્કાલિક સ્થળ મુલાકાત લઈ જરૂરી સમારકામ શરૂ કરવા જણાવ્યું છે, જેથી ખેડૂતોની સિંચાઈ માટે પાણીની સુચારુ વ્યવસ્થા જળવાઈ રહે.





