રેલીમાં સંતો-મહંતો, ગ્રામજનો સહિત મોટી સંખ્યામાં ગૌભક્તો જોડાયા
સમગ્ર દેશમાં ગૌમાતાને રાષ્ટ્રીય દરજ્જો આપવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે. તે અંતર્ગત આજે ભાભર ખાતે “ગૌ આહવાન અભિયાન” હેઠળ ગૌમાતાને રાષ્ટ્રીય માતા જાહેર કરવામાં આવે તેવી માંગ સાથે ભવ્ય રેલી યોજાઈ હતી. આ રેલીનો પ્રારંભ ભાભરના ગાય સર્કલ ખાતેથી કરવામાં આવ્યો હતો. જેમાં પગપાળા, બાઈક તેમજ ટ્રેક્ટર સાથે વિશાળ સંખ્યામાં સંતો મહંતો સાથે ગૌભક્ત ભાઈઓ તેમજ બહેનો જોડાયા હતા. રેલીમાં સંતો-મહંતો, ગૌસેવકો, ભાભર નગરજનો તેમજ ગ્રામ્ય વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.
ગૌભક્તોએ ગૌમાતાને રાષ્ટ્રીય માતા જાહેર કરવાની માંગ સાથે બેનરો અને સૂત્રોચ્ચારો દ્વારા પોતાની માંગ રજૂ કરી હતી. રેલી ગાય સર્કલથી ભાભર મામલતદાર કચેરી સુધી પહોંચી હતી, જ્યાં ભાભર મામલતદારને પ્રાર્થના પત્ર પાઠવી ગૌમાતાને રાષ્ટ્રીય દરજ્જો આપવા તેમજ ગૌહત્યા બંધ કરવાની માંગ કરવામાં આવી હતી. ત્યારબાદ રેલી જલારામ ગૌશાળા ખાતે પૂર્ણ થઈ હતી. જ્યાં ગૌભક્તોએ ભોજન પ્રસાદ ગ્રહણ કરી કાર્યક્રમ પૂર્ણ કર્યો હતો.





