કડી તાલુકાના જયદેવપુરાની સીમમાં ચાર શખ્સોએ કાવતરું રચીને સાણંદના અણદેજ ગામના અને જમીન લે-વેચનો વ્યવસાય કરતા વેપારી સરદારભાઈ ઉસ્માનભાઈ વાઘેલાને રૂ. 14.90 લાખની મત્તાની લૂંટ ચલાવી હોવાની ઘટના સામે આવી છે.
એસ.એન.ઠાકોર નામના એક અજાણ્યા શખ્સે વેપારીને ફોન કરી જમીન વેચાણ આપવાની વાત કરી બુધવારે રાત્રે આઠેક વાગ્યે જમીન જોવા બોલાવ્યા હતા. વેપારી પોતાની થાર ગાડી લઈને નાનીકડી પહોંચતા, આરોપી તેમને જયદેવપુરા ગામની સીમમાં આવેલા એક ખેતરમાં બોરની ઓરડી પાસે લઈ ગયો હતો. ત્યાં અગાઉથી સંતાયેલા તાલીબ ખોખર (રહે. દુધઈ, તા. કડી) અને અન્ય બે અજાણ્યા શખ્સોએ આવીને વેપારીને પકડી લીધા હતા અને તેમના હાથ-પગ દોરડાથી બાંધી દીધા હતા.
આ શખ્સોએ વેપારી પાસેથી રૂ. 2 લાખની કિંમતના બે એપલ કંપનીના મોબાઈલ, ખિસ્સામાંથી રૂ. 40,000 રોકડા અને ગળામાંથી રૂ. 7,50,000ની કિંમતની 5 તોલાની સોનાની ચેઈન આંચકી લીધી હતી. આ ઉપરાંત, ગાડીની ચાવી મેળવીને ગાડીમાં રાખેલા રૂ. 5 લાખ રોકડા પણ લૂંટી લીધા હતા. લૂંટ ચલાવ્યા બાદ ચારેય શખ્સો વેપારીના હાથનું દોરડું ખોલીને ત્યાંથી ફરાર થઈ ગયા હતા. વેપારીએ પગે બાંધેલું દોરડું ખોલી ગાડીના બોનેટ પરથી ચાવી મેળવી ગભરાયેલી હાલતમાં ઘરે પહોંચ્યા હતા. આ મામલે ગુરુવારે કડી પોલીસ મથકે ફરિયાદ નોંધાવાતા પોલીસે એસ.એન.ઠાકોર, તાલીબ ખોખર અને બે અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.





