વેર હાઉસમાં મૂકેલ રૂ.ત્રણ કરોડના જીરાની ચોરી થતા ફરિયાદ
ઊંઝા તાલુકાના ઉનાવા હાઈવે પર આવેલ ડિસન્ટ હોટલની પાછળ આવેલ ખોડિયાર એસ્ટેટના વેર હાઉસ નંબર 13 અને 14 અને 15 માંથી જીરાની બેગ નંગ કુલ 2519 કુલ કી રૂ 3,02,28, 000ની કોઈ અજાણ્યા ઇસમો ચોરી કરી લઈ જતા ઉનાવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.
પ્રાપ્ત વિગતો અનુસાર ઊંઝા ગંજબજારમાં આવેલ ડી 227માં શેઠ નિહાલ નિતેશકુમાર નામની પેઢી ધરાવતા નિતેશ ઘેવરચંદ જૈન શેઠએ સને 2025 માં જુલાઈ માસમાં ખેતપેદાશોની ગંજમાં આવક વધારે હોઈ સ્ટોક રાખવા માટે ઉનાવા ખોડિયાર એસ્ટેટ વેર હાઉસમાં જીરાની બેગો મૂકી હતી.જેઓએ ઉનાવા ડિસન્ટ હોટલની પાછળ આવેલ ખોડિયાર એસ્ટેટ વેર હાઉસ નંબર 13 અને 14માંથી જીરાની બેગ નંગ કુલ 1392 જે એક બેગમાં આશરે 55 કિલો જીરા લેખે હાલનો ભાવ રૂ 12,000 લેખે કુલ 1392 બેગની કિંમત રૂ 1,67,04, 000નો જીરાનો માલ કોઇ પણ રીતે બંધ વેરહાઉસના દરવાજા ખોલી વેર હાઉસમા પ્રવેશ કરી ચોરી કરી જતા ઉનાવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.
આ ઉપરાંત ઊંઝા ગંજબજારમાં એ11 નામની પેઢી ધરાવતા શાહ મોહનલાલ નરેન્દ્રકુમાર નામની પેઢી ધરાવતા અરવિંદ મોહનલાલ શેઠએ પણ ગઈ તા 5 ડિસેમ્બર 2025 ના બપોરથી તા 3 જાન્યુઆરી 2026ના સવારના 9 વાગ્યા સુમારે કોઈ અજાણ્યા ચોર ઇસમો મળી એકબીજાની મદદગારી કરી ભાડે રાખેલ ખોડિયાર એસ્ટેટ વેર હાઉસ નંબર 15 માં જીરાની બેગ નંગ કુલ રૂ 1127 જે એક બેગમાં આશરે 55 કિલો જીરા લેખે હાલનો ભાવ કી રૂ 12000 લેખે કુલ 1127 બેગની કી રૂ 1,35,24,000 નો જીરાનો માલ કોઇપણ રીતે બંધ વેર હાઉસના દરવાજા ખોલી વેર હાઉસમાં પ્રવેશ કરી ચોરી કરી લઈ ગયા હતા. જેથી અજાણ્યા ચોર ઇસમો સામે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.


