ઘટનામાં ધારપુરીના યુવકનું મોત નિપજતા પોલીસે તપાસ શરૂ કરી
વડાવલી સીમમાં આવેલા આંબલીવાળા તળાવમાં માટી ખોદકામ દરમિયાન ભેખડ ધસી પડતાં ધારપુરી ગામના એક યુવકનું દટાય જવાથી મોત નીપજ્યું છે.આ ઘટના બપોરના સમયે બની હતી.મૃતક યુવકની ઓળખ ધારપુરી ગામના ખેતમજૂર હવુભા લાલસિંહભાઈ ઠાકોર (ઉંમર 38) તરીકે થઈ છે. ઘટનાની જાણ થતાં જ મૃતકના ભાઈ સહિત પરિવારજનો ઘટના સ્થળે પહોંચી ગયા હતા.મૃતકના ભાઈ હરપાલસિંહ લાલસિંહ ઠાકોરે ચાણસ્મા પોલીસને જાણ કરી હતી.
તેમણે પોલીસને જણાવ્યું હતું કે તેમનો ભાઈ વડાવલી પંચાયતના માટીકામની મજૂરીએ ગયો હતો. પોલીસે લાશનું પંચનામું કરી અકસ્માત મોતનો ગુનો દાખલ કર્યો હતો. ચાણસ્મા આરોગ્ય કેન્દ્ર ખાતે પીએમ કરાવી લાશ વાલીવારસોને સોંપવામાં આવી હતી.જોકે, વડાવલી ગ્રામ પંચાયતના સરપંચ અને તલાટીએ જણાવ્યું હતું કે, આ આંબલી તળાવ ગામથી 3 કિમી દૂર સીમ વિસ્તારમાં આવેલું છે.વડાવલી ગ્રામ પંચાયત દ્વારા ઘટના સ્થળવાળા તળાવમાં કોઈ સરકારી કે પંચાયત દ્વારા માટીકામ સંદર્ભે કામ ચાલતું નથી કે માટી ખોદવા માટે કોઈ ઠરાવ કરી મંજૂરી આપવામાં આવી નથી.મૃતકના ભાઈના નિવેદનના આધારે, ચાણસ્મા પોલીસે વડાવલી ગામની મુલાકાત લીધી હતી. પોલીસે સરપંચ અને તલાટીના નિવેદનો નોંધ્યા હતા અને ઘટનાસ્થળનું નિરીક્ષણ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.આ અંગે તપાસ કરી રહેલા પીએસઆઈ બી.એસ. ચૌધરીએ જણાવ્યું હતું કે, અકસ્માત મોતનો ગુનો નોંધી સરપંચ અને તલાટીના નિવેદનો લેવાયા છે અને ઘટના સ્થળનુ નિરીક્ષણ સહિતની કાર્યવાહી ચાલી રહી હોવાનું તેઓએ જણાવ્યું હતું.





