સાબરકાંઠા જિલ્લાના ૧૯૨૩ આંગણવાડી કેન્દ્રોની માળખાકીય સુવિધાઓ અને કુપોષણ નાબૂદી અભિયાન અંગે સમીક્ષા બેઠક યોજાઈ
ગુજરાત રાજ્યના મહિલા અને બાળ કલ્યાણ (સ્વતંત્ર હવાલો), સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગના મંત્રી ડૉ. મનીષાબેન વકીલ સાબરકાંઠા જિલ્લાના એક દિવસીય પ્રવાસે પધાર્યા હતા. આ પ્રવાસ દરમિયાન મંત્રીએ જિલ્લાના પ્રાંતિજ તાલુકાના સલાલ-૭ આંગણવાડી કેન્દ્ર, હિંમતનગરના કસ્બા છાપરિયા આંગણવાડી કેન્દ્ર તેમજ નારી સંરક્ષણ કેન્દ્રની રૂબરૂ મુલાકાત લઈ ઉપલબ્ધસુવિધાઓ, રસોડાની વ્યવસ્થા અને સેવાઓની ઝીણવટભરી સમીક્ષા કરી હતી. ત્યારબાદ, હિંમતનગર કલેક્ટર કચેરી ખાતે જિલ્લાના અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી. 
મંત્રીએ સમીક્ષા બેઠકમાં ખાસ જણાવ્યું હતું કે, ગુજરાત આજે દેશભરમાં વિકાસનું રોલ મોડેલ છે ત્યારે આંગણવાડીઓમાં શ્રેષ્ઠ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં સરકાર કોઈ કસર બાકી રાખશે નહીં. ખાસ કરીને સાબરકાંઠા જિલ્લાના અંતરિયાળ (ટ્રાયબલ) વિસ્તારોમાં કુપોષણ નાબૂદી માટે વિશેષ ઝુંબેશ ચલાવવા તેમણે તાકીદ કરી હતી. તેમણે આહવાન કર્યું હતું કે, કુપોષણ મુક્ત સમાજના નિર્માણ માટે માત્ર સરકારી તંત્ર જ નહીં, પરંતુ સ્થાનિક મહિલા મંડળો, ગામના વડીલો અને ચૂંટાયેલા પદાધિકારીઓને સાંકળીને લોકભાગીદારી (જનઆંદોલન) ઊભી કરવામાં આવે અને દરેક જવાબદાર નાગરિક નિયમિતપણે આંગણવાડી કેન્દ્રોની મુલાકાત લે.
આ સાથે રૂ. ૧૬ લાખના ખર્ચે બનનારા ૫૦ નવીન આંગણવાડી મકાનોની કામગીરીની પ્રગતિની સમીક્ષા કરવામાં આવી હતી. રૂ. ૧૮ લાખના અંદાજિત ખર્ચે તૈયાર થનારા અન્ય ૧૨૦ જેટલા મોડેલ આંગણવાડી કેન્દ્રોના આયોજન અંગે મંત્રીશ્રીએ જરૂરી વહીવટી વેગ આપવા સૂચના આપી હતી.તેમજ જ્યાં સુધી નવીન મકાનો તૈયાર ન થાય સુધી બાળકોની સલામતી અગ્રતા પર રાખીને, ભાડાના કે જર્જરિત મકાનોના સ્થાને નજીકની ઉપલબ્ધ યોગ્ય સરકારી પ્રાથમિક શાળાઓ કે અન્ય સરકારી બિલ્ડીંગોમાં આંગણવાડીઓ તુરંત શિફ્ટ કરી કાર્યરત કરવા મંત્રીશ્રીએ સ્પષ્ટ આદેશો આપ્યા હતા.





