થરાદ નગરપાલિકાની સામાન્ય સભા તા.૦૬/૦૭/૨૦૨૬ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે નગરપાલિકા પ્રમુખ અર્જુનસિંહ વાઘેલાના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી. સામાન્ય સભામાં શહેરના સર્વાંગી વિકાસને પ્રાધાન્ય આપતા અનેક મહત્વપૂર્ણ વિકાસલક્ષી ઠરાવો સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યા હતા.
સભામાં સૌપ્રથમ નગરપાલિકાની વિવિધ સમિતિઓની રચના કરવામાં આવી હતી. ત્યારબાદ શહેરના વિકાસ માટે વિવિધ યોજનાઓ હેઠળ કુલ અંદાજે રૂ. ૪૩.૦૦ કરોડના વિકાસ કામો તથા સંબંધિત ટેન્ડરોને મંજૂરી આપવામાં આવી હતી. આ અંતર્ગત આગવી ઓળખ ગ્રાન્ટ હેઠળ રૂ. ૧૫.૦૦ કરોડના ખર્ચે આધુનિક ટાઉનહોલનું નિર્માણ, વિકાસ આઉટગ્રોથ વિસ્તાર માટે રૂ. ૮.૦૦ કરોડના વિકાસ કામો, શહેરી સડક યોજના હેઠળ રૂ. ૮.૦૦ કરોડના માર્ગ વિકાસના કામો તેમજ સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ રૂ. ૧૨.૦૦ કરોડના વિવિધ વિકાસ કામોને મંજૂરી આપવામાં આવી હતી.
આ ઉપરાંત શહેરને હરિયાળું અને પર્યાવરણલક્ષી બનાવવા વન કવચ (અર્બન ફોરેસ્ટ) વિકસાવવાનો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો હતો. તેમજ થરાદ નગરપાલિકા વિસ્તારમાં આવેલ રેફરલ હોસ્પિટલથી હનુમાન ગોળાઈ સુધીના ગૌરવપથ (આઇકોનીક) રોડની કામગીરીનું આયોજન તેમજ નાગરિકોને સ્વચ્છ અને આરોગ્યપ્રદ વાતાવરણ ઉપલબ્ધ થાય તે માટે ઓક્સિજન પાર્ક બનાવવાનો પણ સર્વાનુમતે નિર્ણય કરવામાં આવ્યો હતો.થરાદ નગરપાલિકાના આ નિર્ણયો શહેરના આધુનિક વિકાસ, હરિયાળી, જાહેર સુવિધાઓના વિસ્તરણ અને નાગરિકોની જીવન ગુણવત્તામાં વધારો કરવા માટે મહત્વપૂર્ણ સાબિત થશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી





