નવા નાણાકીય વર્ષમાં લાયસન્સ રિન્યુ બાબતે ચેરમેન રાખતા હોવાનો વેપારીનો આક્ષેપ!
બનાસકાંઠા જિલ્લાના ઓગડ તાલુકાના મુખ્ય મથક થરા ખાતે આવેલી ધી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ -માર્કેટયાર્ડ ખાતે બે વેપારીઓના લાયસન્સ રિન્યુ ન કરાતા હોબાળો થયો હતો અને વેપારીઓ અને ચેરમેન- વાઇસ ચેરમેન વચ્ચે મામલો ઉગ્ર બન્યો હતો.
ગત માર્કેટયાર્ડની ચૂંટણીમાં ભાજપના બે જુથો આમને સામને આવતાં.તે સમયના ચેરમેન ભાજપ અગ્રણી અણદાભાઈ પટેલ અને ભાજપના જ ઈશ્વરભાઈ પટેલ વચ્ચે ચૂંટણી જંગ ખેલાયેલ જેમાં ભાજપ પ્રેરિત ઈશ્વરભાઈ પટેલ પેનલનો વિજય થયો હતો. તે પછી ચાલુ વર્ષે ૧૯૦ જેટલા લાયસન્સ રિન્યુ કરવા માટે અરજીઓ આવેલ તે પૈકી ૧૮૮ અરજીઓના લાયસન્સ રિન્યુ કરવામાં આવેલ, પણ બે વેપારીઓના લાયસન્સ રિન્યુ નહીં થતાં વેપારીઓએ આક્ષેપ કર્યો હતો કે ચેરમેન -વાઇસ ચેરમેન રાજકીય કિન્નાખોરી રાખી અમારી પેઢીના લાયસન્સ રિન્યુ કરતા નથી પરિણામે વેપાર કરવામાં મુશ્કેલી પડી રહી છે.આ બાબતે ચેરમેન- વાઇસ ચેરમેન -સેક્રેટરી તથા વેપારીઓ વચ્ચે બોલાચાલી થઈ હતી. આ મામલો વધુ ન વણસે તે માટે પોલીસ આવતા પોલીસે આવી સમગ્ર મામલો થાળે પાડ્યો હતો.
થરા માર્કેટયાર્ડમાં માર્ચના અંતે નવા નાણાકીય વર્ષ ૦૧/૦૪/૨૬ થી માર્કેટ યાર્ડમાં વેપાર કરવા માટે લાયસન્સ રિન્યુ માટે જીએસટી ધરાવતા હોય અને નિયમિત સેસ ભરતા હોય તેની તપાસણી કર્યા પછી લાયસન્સ સબ યાર્ડ કમિટી દ્વારા રિન્યુ કરવામાં આવે છે,ત્યારે થરા માર્કેટ યાર્ડમાં નવા વર્ષના અંતે ૧૯૦ જેટલી અરજીઓ રિન્યુ માટે આવી હતી તેમાં ૧૮૮ વેપારીઓની અરજીઓ મંજૂર કરી લાયસન્સ રિન્યુ કરવામાં આવ્યા હતા,પરંતુ તેમાં પવન કોર્પોરેશનના પરાગભાઇ પટેલ અને રાજેશ્વરી ટ્રેડિંગના વિનાજી ઠાકોરના લાયસન્સ રીન્યુ ન કરતા હોબાળો થયો હતો જેમાં ચેરમેન- વાઇસ ચેરમેન અને બન્ને વેપારીઓ વચ્ચે બોલાચાલી થઈ હતી અને મામલો વણસ્યો હતો પરિણામે પોલીસને જાણ કરતાં પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને મામલો થાળે પાડ્યો હતો. આ અંગે વેપારી પરાગભાઇ પટેલે જણાવ્યું હતું કે અમારી જોડે વર્તમાન ચેરમેન ઈશ્વરભાઈ પટેલ અને વાઇસ કિરીટભાઇ ઠક્કરે કિન્નાખોરી રાખી અમારું લાયસન્સ રિન્યુ કર્યું નથી અને લાઇસન્સ રિન્યુની પ્રક્રિયામાં મનમાની કરી રહ્યા હોવાનો આક્ષેપ કર્યો હતો.
આ અંગે થરા માર્કેટ યાર્ડના ચેરમેન ઈશ્વરભાઈ પટેલે જણાવ્યું હતું કે માર્કેટમાં વેપારીઓના લાયસન્સ રિન્યુમાં કોઈ ઇસ્યુ નથી. માર્કેટયાર્ડના જે બે વેપારીઓના લાયસન્સ રિન્યુ નથી કર્યા તેમાં સેસ અને જીએસટી વિષયક ખાતરી કરવાની બાકી હોઈ રિન્યુ નથી થયા.જો કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલાં ભાજપના બે જુથો આમને સામને આવશે તેના મૂળ રોપાયાંનું કેટલા અનુભવીઓ માની રહ્યા છે. શિહોરી સબ માર્કેટ યાર્ડને સ્વતંત્ર બનાવવાની માગણી ચાલુ છે ત્યાં આ વિવાદ કેટલો વકરે છે ? તેના તરફ રાજકીય- સહકારી નેતાઓની નજર મંડાયેલી છે.ત્યારે શાકભાજી,તમાકુ માર્કેટની વિહવળતા દબાયેલી ઢગલામાં જ છે પણ કોણ બોલે ??





