વસ્તીનું સંતુલન જોખમાતા અને મંદિરો પાસે માંસની દુકાનો ખુલતા રહીશોએ કલેકટર કચેરી ખાતે રોષ વ્યક્ત કર્યો
પાટણ શહેરના લોટેશ્વર અને કેદારેશ્વર સહિતના વિવિધ ઐતિહાસિક તેમજ ધાર્મિક મહત્વ ધરાવતા વિસ્તારોના રહીશોએ કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવીને ‘અશાંત ધારો’ (ધ ગુજરાત ડિસ્ટર્બ્સ એરિયાઝ એક્ટ, 1986) તાત્કાલિક અસરથી લાગુ કરવાની માંગ કરી છે. સ્થાનિકોની રજૂઆત અનુસાર, છેલ્લા કેટલાક સમયથી વસ્તીના માળખામાં મોટા પાયે ફેરફાર થઈ રહ્યો છે. લઘુમતી સમુદાયની વસ્તીમાં સતત વધારો થવાના કારણે મૂળ રહીશો
માં અસલામતીની ભાવના પેદા થઈ છે, જેના લીધે અનેક પરિવારો પોતાના વર્ષો જૂના મકાનો છોડીને અન્યત્ર સ્થળાંતર કરવા મજબૂર બન્યા છે.રહિશો એ કલેકટર કચેરી ખાતે આપેલ આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર, છેલ્લા ૫ થી ૬ વર્ષમાં આ વિસ્તારોમાં મિલકતોનું મોટા પાયે વેચાણ થયું છે,જેમાં અંદાજે ૧૨૫ થી વધુ મકાનો અન્ય સમુદાયના લોકોને વેચાયા હોવાનું સામે આવ્યું છે.રહીશોએ લોટેશ્વર, કેદારેશ્વરનો મહોલ્લો, સોલરની પોળ, નક્કી વાડો, મારુ વાડો, લીંબુવાળાની શેરી, ગોઠીની શેરી, ચાચરીયા, કસુમ્બીયા પાડો, કંપાણી પાડો, ઝીણીપોળ, પનાગર વાડો, રામની શેરી અને રાજકાવાડો જેવા વિસ્તારોનો ઉલ્લેખ કર્યો છે. આ વિસ્તારો સનાતન પરંપરા અને સામાજિક સૌહાર્દ માટે જાણીતા છે.આ સંવેદનશીલ વિસ્તારોમાં લોટેશ્વર મહાદેવ, કેદારેશ્વર મહાદેવ, રાજા સુગ્રીવ દાદા, બહુચર માતાજી, રામજી મંદિર અને ઝુલેલાલ સાહેબના પવિત્ર ધાર્મિક સ્થાનો તેમજ પ્રાચીન જૈન દેરાસર આવેલા છે. સ્થાનિક રહીશે આક્ષેપ કર્યો હતો કે, મંદિરોની આસપાસ અન્ય સમુદાયના લોકો દ્વારા માંસની દુકાનો ખોલવામાં આવી છે.
આ કારણે મંદિરે પૂજા-અર્ચના અને દર્શન કરવા જતી વખતે સ્થાનિકોની ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચી રહી છે અને સાંસ્કૃતિક વારસો જોખમાઈ રહ્યો છે.ત્યારે મિલકત હસ્તાંતરણ પર રોક લગાવવા માંગ સાથે જણાવ્યું હતું કે, ચાચરીયા,લોટેશ્વર, કસુમ્બીયા પાડો અને ઝીણી પોળ સહિતના વિસ્તારો માટે અગાઉ પણ અશાંત ધારો લાગુ કરવા અરજી કરવામાં આવી હતી.વોર્ડ નંબર ૧,૪,૮ અને ૯ ને જોડતા આ વિસ્તારોમાં થઈ રહેલા મિલકત વેચાણથી હિન્દુ પરિવારોમાં ચિંતા વધી છે. રહીશોની માંગ છે કે અશાંત ધારો અમલી બનવાથી કલેક્ટરની પૂર્વ મંજૂરી વગર મિલકતોના ખરીદ-વેચાણ કે હસ્તાંતરણ પર કાયદાકીય રોક લગાવી શકાશે. આ વિસ્તારોમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે પોલીસ પેટ્રોલિંગ વધારવાની પણ માંગ કરવામાં આવી છે. આ મામલે યોગ્ય કાર્યવાહી અર્થે આવેદનપત્રની નકલ ગૃહમંત્રી, જિલ્લા પોલીસ વડા અને જિલ્લા ભાજપ પ્રમુખને પણ મોકલવામાં આવી છે. આવેદનપત્ર આપતી વખતે મોટી સંખ્યામાં વિસ્તારના રહીશો ઉપસ્થિત રહ્યા હતા અને પોતાનો રોષ વ્યક્ત કરી અશાંત ધારો તાત્કાલિક અમલમાં મુકવાની માંગ કરી હતી.





