પાટણ જિલ્લાના રાધનપુર શહેરના મુખ્ય બજાર વિસ્તારમાં ગેરકાયદેસર રીતે મૂકવામાં આવેલા કેબીનો સામે રાધનપુર નગરપાલિકા દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. બજાર વિસ્તારમાં રસ્તા પર કેબીનો અને અન્ય દબાણોના કારણે વારંવાર ટ્રાફિકની સમસ્યા સર્જાતી હોવાની ફરિયાદો ઉઠી રહી હતી.
આ ફરિયાદોને પગલે નગરપાલિકાની ટીમ દ્વારા રસ્તા પરના ગેરકાયદેસર કેબીનો હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. કેબીનો હટતા બજાર વિસ્તારમાં વાહનચાલકો અને રાહદારીઓને અવરજવરમાં રાહત મળવાની સાથે ટ્રાફિકની સમસ્યા પણ હળવી થવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.
જોકે, કેબીન ચાલકોએ પણ નગરપાલિકા સમક્ષ પોતાની રજૂઆત કરી છે. કેબીન હટાવવાની કાર્યવાહી વચ્ચે કેબીનચાલકો માટે હંગામી વ્યવસ્થા કરવામાં આવે તેવી માગણી કરવામાં આવી છે, જેથી તેમનો રોજગાર પણ ન છીનવાય અને શહેરમાં ટ્રાફિકની સમસ્યાનો પણ કાયમી ઉકેલ આવે. હવે નગરપાલિકા દ્વારા કેબીનચાલકો માટે કોઈ વૈકલ્પિક કે હંગામી વ્યવસ્થા કરવામાં આવે છે કે કેમ તેના પર સૌની નજર રહેશે.





