પાટણ જિલ્લાના રાધનપુર પંથકમાં વહેલી સવારે એક આધેડનો લોહી લુહાણ હાલત માં મૃતદેહ મળી આવ્યો હતો. શરીર પર ગંભીર ઇજાના નિશાન હોવાથી પોલીસે હત્યાની આશંકા વ્યક્ત કરી તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.આ મૃતદેહ રાધનપુરના મશાલી રોડ પર આવેલી કેનાલ પાસેથી મળી આવ્યો હતો.
સ્થાનિક લોકોએ પોલીસ ને જાણ કરતા રાધનપુર પોલીસનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયો હતો. મૃતકની ઓળખ મશાલી ગામના રહેવાસી બચુભાઈ રાવળ તરીકે થઈ છે. પોલીસે ઘટના સ્થળનું પંચનામું કરી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે રાધનપુર રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો.પ્રાથમિક તપાસમાં બચુભાઈને કોઈ તીક્ષ્ણ હથિયાર અથવા ધોકા વડે માર મારીને હત્યા કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. પોલીસે આ મામલે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. હત્યા પાછળ અંગત અદાવત છે કે અન્ય કોઈ કારણ, તે દિશામાં પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા હોવાનું જાણવા મળ્યું છે.





