જિલ્લા કલેક્ટરે સ્વ-ગણતરીની પ્રક્રિયા પૂર્ણ કરી
ભારત સરકાર દ્વારા આગામી સમયમાં યોજાનારી ‘વસ્તી ગણતરી-૨૦૨૭’ની પ્રક્રિયાને વધુ સરળ અને સચોટ બનાવવા માટે ‘સેલ્ફ એન્યુમિરેશન’ (સ્વ-ગણતરી)ની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. આ અભિયાન અંતર્ગત મહેસાણા જિલ્લા કલેક્ટરશ્રી એસ.કે. પ્રજાપતિએ આજે ઓનલાઇન પોર્ટલના માધ્યમથી સ્વ-ગણતરીની પ્રક્રિયા પૂર્ણ કરી જિલ્લાના નાગરિકો માટે પ્રેરણારૂપ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.
આ પ્રસંગે જિલ્લા કલેક્ટર એસ.કે. પ્રજાપતિએ જણાવ્યું હતું કે, વસ્તી ગણતરી એ રાષ્ટ્રીય મહત્વની કામગીરી છે. આગામી ૦૧ જૂન થી ૩૦ જૂન દરમિયાન ‘હાઉસ લિસ્ટિંગ અને હાઉસિંગ સેન્સસ’ની કામગીરી શરૂ થનાર છે, તેના પૂર્વે ૧૭ થી ૩૧ મે, ૨૦૨૬ દરમિયાન નાગરિકો પોતાની વિગતો જાતે જ ઓનલાઇન ભરી શકે તે માટે સેલ્ફ એન્યુમિરેશન પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવ્યું છે.
તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, "મેં આજે મારી વિગતો ઓનલાઇન સબમિટ કરી છે. આ પદ્ધતિ અત્યંત સરળ અને સુરક્ષિત છે. હું મહેસાણા જિલ્લાની જનતાને અપીલ કરું છું કે આપ સૌ પણ https://se.census.gov.in પોર્ટલ પર જઈને આધુનિક ડિજિટલ ઇન્ડિયાના ભાગરૂપે સ્વ-ગણતરીની પ્રક્રિયામાં સહભાગી બનો, જેથી ગણતરીકાર જ્યારે આપના ઘરે આવે ત્યારે આપનો અને તંત્રનો સમય બચે.”





