ગૌશાળાના સંચાલકો સહિત ગૌભકતોએ તંત્ર દ્વારા સર્વે હાથ ધરી વળતર મળે તેવી આશા વ્યકત કરી
પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના કોરડા ગામે આવેલ રામદેવ ગૌશાળામાં શનિવારે બપોરના સુમારે અગમ્ય કારણોસર ભીષણ આગ ભભૂકી ઉઠતા અફડાતફડી મચી જવા પામી હતી. આ ભયંકર લાગેલી આગને ઓલવવા માટે ગૌશાળાના સંચાલકો સહિત ગૌભકતોએ ભારે જહેમત ઉઠાવી મહામુસીબતે આગને કાબૂમાં લીધી હતી.
આ અગમ્ય કારણોસર લાગેલી આગમાં પશુઓ માટે સંગ્રહ કરાયેલ ઘાસચારો સળગી જતા ગૌશાળા સંચાલકોને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. જોકે આગની ઘટનામાં કોઈ પશુની જાનહાનિ ન થતાં ગૌશાળા સંચાલકો અને ગૌ ભકતોએ રાહત અનુભવી હતી. આગના કારણે ગૌશાળામાં થયેલ નુકસાન માટે તંત્ર દ્વારા સર્વે કરી જરૂરી વળતર ચુકવવામાં આવે તેવી ગૌશાળાના સંચાલકો સહિત ગૌભકતોએ આશા વ્યકત કરી છે.





