સુઈગામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનેલી અપહરણની ઘટનામાં વાવ-થરાદ જિલ્લા પોલીસે નોંધપાત્ર સફળતા મેળવી છે. આ કેસમાં મહત્વની બાબત એ છે કે પોલીસે પહેલા તબક્કામાં જ ભોગ બનનાર યુવકને સુરક્ષિત છોડાવ્યો હતો, જ્યારે આરોપીઓ તે સમયે ફરાર થઈ ગયા હતા. હવે સતત તપાસ અને પ્રયત્નો બાદ પોલીસે ફરાર આરોપીઓને પણ ઝડપી પાડી કેસનો ભેદ ઉકેલી દીધો છે.
જિલ્લા પોલીસ અધિક્ષક ચિંતન તેરૈયાના માર્ગદર્શન હેઠળ સુઈગામ પોલીસે અલગ અલગ ટીમો બનાવી વાપી-વલસાડ વિસ્તારમાં દરોડા પાડી યુવક હિતેશભાઈ લાલજીભાઈ આશલ (ઉંમર અંદાજે 25, રહે. ખડોલ, વાવ) ને સુરક્ષિત મુક્ત કરાવ્યો હતો. પરંતુ તે સમયે આરોપીઓ પોલીસને ચકમો આપીને ફરાર થઈ ગયા હતા.તેમને પકડવા પોલીસે ટેકનિકલ સર્વેલન્સ, સીસીટીવી ફૂટેજ અને સૂત્રોના આધારે તપાસ આગળ ધપાવી હતી. પણ આરોપીઓ સોશિયલ મીડિયાના માધ્યમથી પોલીસને પડકાર ફેંકતા હતાં.સુઈગામ પોલીસે સઘન અને વ્યૂહાત્મક કામગીરી ચાલુ રાખી.
અંતે પોલીસ ઇન્સ્પેક્ટર એચ.એમ. પટેલ અને તેમની ટીમે પૂર્વ કચ્છ જિલ્લાના ભુજ નજીક આવેલા ગામમાંથી મધરાત્રીના દરોડા પાડી ત્રણેય આરોપીઓને ઝડપી પાડ્યા હતા. ત્યારબાદ તેમને સુઈગામ લાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ઝડપાયેલા આરોપીઓમાં જગદીશભાઈ ધર્મશીભાઈ સોલંકી (રહે. ઝઝામ, તા. સાંતલપુર, જી. પાટણ), પીયૂષભાઈ પથુભાઈ પારેગી (રહે. મોરવાડા, તા. સુઈગામ, જી. વાવ-થરાદ) અને પ્રવિણભાઈ કરશનભાઈ પારેગી (રહે. મોરવાડા, તા. સુઈગામ, જી. વાવ-થરાદ) નો સમાવેશ થાય છે.
પોલીસની આ સતત અને સંકલિત કામગીરીને જિલ્લા સ્તરે વખાણ મળી રહ્યા છે, કારણ કે પ્રથમ તબક્કે યુવકને સુરક્ષિત છોડાવ્યા બાદ પણ પોલીસે આરોપીઓને પકડવા અભિયાન ચાલુ રાખી અંતે તેમને કાયદાનું ભાન કરાવ્યું છે.





