મહેસાણા જિલ્લાના અતિ પ્રસિદ્ધ યાત્રાધામ બહુચરાજી ખાયે ચૈત્રી પૂનમનાનમેળાને લઈને વહીવટીતંત્ર દ્વારા ચુસ્ત નિયમોનું પાલન કરવાના આદેશ કરવામાં આવ્યાં છે. જેમાં બહુચરાજી માતાજીના દર્શને આવનારા પદયાત્રીઓ અને શ્રદ્ધાળુઓની સુરક્ષા અને સલામતી માટેની પુરત8 વ્યવસ્થા જળવાય તેના માટે મહેસાણા અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ જે.કે.જેગોડા દ્વારા બહુચરાજી મેળા દરમિયાન જાહેર માર્ગો પર ઢોરની અવરજવર પર પ્રતિબંધ મૂકતું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું. આ જાહેરનામાનો ભંગ કરવા બદલ બેચરાજી પોલીસે બે પશુપાલકો વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મેળા દરમિયાન બહુચરાજી શક્તિ સર્કલ પાસે પોલીસ કર્મચારીઓ ફરજ પર હતા. આ દરમિયાન બે પશુપાલકો પોતાના ઢોર લઈને જાહેર માર્ગ પરથી પસાર થતા જોવા મળ્યા હતા. જે પશુપાલકોને ઉભા રાખીને પોલીસે પૂછપરછ કરતા આ પશુપાલકો બેચરપરા વિસ્તારના રહેવાસી હોવાનું જાણવા મળેલ જ્યારે તેમના નામ થામ પુછતા ચેલાભાઈ લક્ષ્મણભાઈ ભરવાડ તેમજ દિનાભાઈ મોહનભાઈ ભરવાડ નામ જણાવેલ હતું. જેઓને જાહેરનામાની જાણ હોવા છતાં તેનું ઉલ્લંઘન કરી જાહેર રોડ પર ઢોર લઈને નીકળવા બદલ પોલીસે બંને વિરુદ્ધ ધી ગુજરાત પોલીસ અધિનિયમ 1951 ની કલમ 131 મુજબ ગુનો નોંધી આગળની તપાસશરૂ કરી છે. પોલીસે ઘટનાસ્થળે પંચનામું કરવાની કાર્યવાહી પૂર્ણ કરી ઢોરને તેમના સંબંધીઓને પરત સોંપવાની તજવીજ હાથ ધરી હતી. ઉલ્લેખનીય છે કે મેળા દરમિયાન દર્શનાર્થીઓને કોઈ અડચણ ન પડે તે માટે તંત્ર દ્વારા કડક વલણ અપનાવવામાં આવી રહ્યું છે જેના લીધે યાત્રાધામ બહુચરાજીમાં દર્શનાર્થે આવતા માઈભક્તો કે સંઘના પદયાત્રીઓને કોઈ પણ જાતની અગવડ કે તકલીફ ન પડે તેનુ સુચારુ આયોજન જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવ્યું છે.





