આજના સ્પર્ધાત્મક યુગમાં જ્યારે યુવાનો માત્ર ગુણ અને ડિગ્રીની દોડમાં છે,ત્યારે ઉત્તર ગુજરાતના શૈક્ષણિકધામ હેમચંદ્રાચાર્ય ઉતર ગુજરાત યુનીવર્સીટીમાં એક સકારાત્મક પરિવર્તનનો પવન ફૂંકાયો છે.નવી શિક્ષણ નીતિ અંતર્ગત હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન કોલેજોમાં પ્રથમવાર સ્નાતક (UG) અભ્યાસક્રમમાં ''વેલ્યુ એડેડ કોર્સ'' તરીકે ''શ્રીમદ્ ભગવદ્ ગીતા''નો સમાવેશ કરવામાં આવ્યો છે જે પહેલને અભૂતપૂર્વ પ્રતિસાદ મળ્યો છે, જેમાં 1814 જેટલા વિદ્યાર્થીઓએ સ્વૈચ્છિક રીતે આ વિષય પસંદ કરીને સાબિત કર્યું છે કે આધુનિક પેઢી ભારતીય મૂલ્યો અને વારસા સાથે જોડાવા આતુર છે.
નવી શિક્ષણ નીતિ માત્ર વ્યાવસાયિક કૌશલ્ય જ નહીં, પરંતુ માનવીય મૂલ્યોના સિંચન પર ભાર મૂકે છે. વિદ્યાર્થીઓ હવે વર્ગખંડમાં માત્ર ટેકનિકલ વિષયો જ નહીં, પરંતુ કુરુક્ષેત્રની રણભૂમિમાં શ્રીકૃષ્ણએ અર્જુનને આપેલા કર્તવ્ય અને નિષ્કામ કર્મનો સંદેશ પણ ભણી રહ્યા છે.
આ માત્ર ધાર્મિક અભ્યાસ નથી, પરંતુ મેનેજમેન્ટ, લાઈફ સ્કિલ્સ અને મક્કમ નિર્ણયશક્તિ કેળવવાનો એક નવતર શૈક્ષણિક પ્રયોગ છે. યુનિવર્સિટી દ્વારા તૈયાર કરાયેલા પ્રોપર સિલેબસ મુજબ આંતરિક પરીક્ષાઓ પણ લેવામાં આવી રહી છે, જે શૈક્ષણિક જગતમાં એક નવી દિશા ચીંધે છે.





