પાટણ શહેરના સિદ્ધપુર ચાર રસ્તા પાસે વર્ષ 2023 માં પુરઝડપે જતી કારની અડફેટે આવતા ગંભીર રીતે ઘાયલ થયેલા શાકભાજી વેચનાર જોશનાબેન પટ્ટણીનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આ કરુણ ઘટનામાં ન્યાય મેળવવા માટે પતિ અને બે સંતાનોએ પાટણની મોટર અકસ્માત ક્લેમ ટ્રિબ્યુનલમાં વળતર માટે અરજી કરી હતી. જેનો ચુકાદો આપતા કોર્ટે મૃતકના વારસદારોને ३. 17,34,112 વળતર વાર્ષિક 9 ટકા વ્યાજ સાથે ચૂકવી આપવા કારના ડ્રાઈવર અને માલિકને સંયુક્ત રીતે જવાબદાર ઠેરવી હુકમ કર્યો છે.
અકસ્માત સર્જી કાર ચાલક ફરાર થઈ ગયો હતો. 28 જૂન 2023ના રોજ જોશનાબેન સંજયભાઈ પટ્ટણી પાટણ શહેરમાં સિદ્ધપુર ચાર રસ્તા પાસે અકસ્માતનો ભોગ બન્યા હતા. મારૂતિ સુઝુકી વેગન-આર (નંબર GJ-02-AC-3159) ના ચાલકે તેમને જોરદાર ટક્કર મારતા તેઓ લોહીલુહાણ હાલતમાં બેભાન થઈ રસ્તા પર પટકાયા હતા.હોસ્પિટલમાં ટૂંકી સારવાર બાદ તેમનું અવસાન થયું હતું. અકસ્માત બાદ કાર ચાલક મુકેશભાઈ પ્રજાપતિ સ્થળ પરથી ભાગી છૂટ્યો હતો.આ મામલે પોલીસે ચાર્જશીટ પણ રજૂ કરી હતી, જેના આધારે કોર્ટે કાર ચાલકની બેદરકારીને અકસ્માત માટે જવાબદાર ગણી હતી.મૃતક મહિલા શાકભાજી વેચીને પરિવારને આર્થિક મદદ કરતા હતા, પરંતુ આવકનો કોઈ લેખિત પુરાવો ન હોવાથી ટ્રિબ્યુનલે લઘુત્તમ વેતન મુજબ તેમની માસિક આવક રૂ. 11,500 ગણી હતી. મૃતકની ઉંમર પીએમ રિપોર્ટ મુજબ 45 વર્ષ ગણીને કોર્ટે ભવિષ્યની આવક અને આશ્રિતોની સ્થિતિને ધ્યાને રાખી કુલ વળતર નક્કી કર્યું છે.





