વાવ થરાદ જિલ્લાના ધરણીધર તાલુકાના યાત્રાધામ ઢીમાના આંબેડકર નગર ખાતે તંત્રની ઘોર બેદરકારીનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. નગરમાં આવેલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના સેન્ટર ના મુખ્ય ગેટની બિલકુલ આગળ જ ભારે કાદવ-કીચડ અને ગંદકીના સામ્રાજ્યને કારણે દર્દીઓ અને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ‘દિવડા નીચે અંધારું’ હોય તેમ, જે તંત્ર પર લોકોના સ્વાસ્થ્યની જવાબદારી છે, તેના જ ઘર આંગણે ગંદકીનું આલમ છે. હાલમાં એક તરફ આરોગ્ય વિભાગ દ્વારા નાના બાળકો માટે પોલિયો રસીકરણનો મહત્વપૂર્ણ કાર્યક્રમ ચાલી રહ્યો છે. આ રસીકરણનો લાભ લેવા અને પોતાના વ્હાલસોયા બાળકોને સુરક્ષિત કરવા વાલીઓ મોટી સંખ્યામાં આરોગ્ય કેન્દ્ર પર આવી રહ્યા છે.
પરંતુ કેન્દ્રના મુખ્ય દરવાજા પાસે જ કાદવ-કીચડ જમા હોવાથી "આવનાર નાના-નાના ભૂલકાઓ અને સગર્ભા માતાઓ આ કીચડ ઓળંગીને અંદર કઈ રીતે પ્રવેશ કરે તે એક મોટો સવાલ લોકમુખે ચર્ચાઈ રહ્યો છે સ્થાનિક લોકો અને દર્દીઓના સગાંઓ આક્રોશપૂર્વક જણાવી રહ્યા છે કે, જો ખુદ આરોગ્યતંત્રના પોતાના ઘર આંગણે જ આવી અસહ્ય ગંદકી અને કાદવ-કીચડનું સામ્રાજ્ય હોય, તો તે અન્ય જગ્યાએ સ્વચ્છતાના પાઠ ભણાવવા માટે કેટલું લાયક ગણાય? ગેટ પાસે ભરાયેલા ગંદા પાણીને કારણે મચ્છરોનો ઉપદ્રવ વધવાની અને અન્ય બીમારીઓ ફેલાવવાની પણ પૂરેપૂરી આશંકા સેવાઈ રહી છે લોકોની માંગ છે કે, તાત્કાલિક ધોરણે આ કાયમી સમસ્યાનો ઉકેલ લાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.





