મહેસાણા તાલુકાના છઠિયારડા ગામમાં જમીન વેચાણના નામે લાખો રૂપિયાની ઠગાઈ કરવાનો એક ગંભીર મામલો સામે આવ્યો છે. આ કેસમાં નોટરી બનાખત કર્યા બાદ ૪૯ લાખ રૂપિયાની માતબર રકમ લઈને જમીન અન્ય વ્યક્તિને બારોબાર વેચી દેવામાં આવી હતી. આ ગુનામાં ધરપકડથી બચવા માટે આરોપી દ્વારા કરવામાં આવેલી આગોતરા જામીન અરજી મહેસાણા સેશન્સ કોર્ટે નામંજૂર કરી દીધી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, છઠિયારડા ગામની સીમમાં આવેલી જમીનના વેચાણ અંગેનો આ સમગ્ર મામલો છે. આ કેસના આરોપી મહંમદ યુનુસખાને જમીન વેચાણનો સોદો કરી, વિશ્વાસમાં લઈ નોટરી રૂબરૂ બનાખત કરી આપ્યો હતો. આ સોદા પેટે આરોપીએ ૪૯ લાખ રૂપિયા પણ મેળવી લીધા હતા. જોકે, આટલી મોટી રકમ લીધા બાદ આરોપીએ દાનત બગાડીને આ જમીન કોઈ અન્ય વ્યક્તિને વેચી મારી હતી. પોતાની સાથે થયેલા આ વિશ્વાસઘાત અને છેતરપિંડી અંગે ભોગ બનનાર દ્વારા પોલીસ મથકમાં સત્તાવાર ફરિયાદ નોંધાવવામાં આવી હતી.
પોલીસ ફરિયાદ નોંધાતા જ આરોપી મહંમદ યુનુસખાનને પોતાની ધરપકડ થવાની ભીતિ સતાવવા લાગી હતી. જેથી ધરપકડથી બચવા માટે તેણે મહેસાણા સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન મેળવવા માટે અરજી દાખલ કરી હતી. આ કેસની સુનાવણી મહેસાણા સેશન્સ કોર્ટના જજ એમ.એફ. ખત્રીની કોર્ટમાં હાથ ધરવામાં આવી હતી.આ સુનાવણી દરમિયાન, સરકાર પક્ષે સરકારી વકીલ પરેશકુમાર કે. દવેએ હાજર રહીને કોર્ટ સમક્ષ ધારદાર દલીલો રજૂ કરી હતી. તેમણે કોર્ટના ધ્યાન પર મૂક્યું હતું કે, આરોપીએ પૂર્વ આયોજિત કાવતરું ઘડીને ૪૯ લાખ રૂપિયા જેવી માતબર રકમની છેતરપિંડી કરી છે. આવા આર્થિક ગુના અને વિશ્વાસઘાતના કેસમાં આરોપીને આગોતરા જામીન આપી શકાય નહીં.
સરકારી વકીલ પરેશકુમાર કે. દવેની દલીલોને ગ્રાહ્ય રાખીને અને કેસની ગંભીરતાને ધ્યાનમાં લેતાં, સેશન્સ જજ એમ.એફ. ખત્રીએ આરોપી મહંમદ યુનુસખાનની આગોતરા જામીન અરજી ફગાવી દીધી હતી. કોર્ટે જામીન નામંજૂર કરતા હવે આરોપી પર ધરપકડની તલવાર લટકી રહી છે, અને પોલીસ દ્વારા તેને ઝડપી પાડવા માટે આગળની કાયદેસરની કાર્યવાહી સઘન બનાવવામાં આવી છે.





