મહેસાણા જિલ્લાના ખદલપુર ગામે ONGCનું વળતર મેળવવા માટે બોગસ દસ્તાવેજો ઊભા કરી લાખો રૂપિયાની છેતરપિંડી આચરવાના મામલે કોર્ટે કડક વલણ અપનાવ્યું છે. આ કૌભાંડમાં સંડોવાયેલા આરોપી છનાભાઈ વાઘેલાએ ધરપકડથી બચવા માટે મહેસાણા સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી હતી, જેને કોર્ટે ફગાવી દીધી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, આરોપી છનાભાઈ વાઘેલાએ ખદલપુરમાં ONGC (ઓઈલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન) દ્વારા આપવામાં આવતા વળતરની રકમ હડપવા માટે કાવતરું રચ્યું હતું. તેણે અન્ય શખ્સો સાથે મળીને જમીન કે મિલકતને લગતા ખોટા અને બોગસ ડોક્યુમેન્ટ્સ તૈયાર કર્યા હતા. આ નકલી દસ્તાવેજોના આધારે તેણે અંદાજે ₹ ૩,૯૧,૯૦૬/- જેટલી માતબર રકમનું વળતર મેળવી લીધું હતું.જ્યારે આ બાબતે તપાસ દરમિયાન દસ્તાવેજો નકલી હોવાનું અને છેતરપિંડી આચરી હોવાનું બહાર આવ્યું, ત્યારે પોલીસ ફરિયાદ નોંધાવાની પ્રક્રિયા શરૂ થઈ હતી. પોતાની સંભવિત ધરપકડથી બચવા માટે આરોપીએ કોર્ટના દ્વાર ખખડાવ્યા હતા.
આ કેસની સુનાવણી દરમિયાન સરકારી વકીલ પરેશકુમાર કે. દવેએ ધારદાર દલીલો રજૂ કરી હતી. તેમણે કોર્ટને જણાવ્યું હતું કે આરોપીએ સરકારી નાણાં અને જાહેર સંસ્થા સાથે છેતરપિંડી કરવા માટે આયોજનબદ્ધ રીતે ખોટા દસ્તાવેજો બનાવ્યા છે. આવા ગંભીર આર્થિક ગુનામાં જો આરોપીને આગોતરા જામીન આપવામાં આવે, તો તપાસમાં અવરોધ આવી શકે છે. જયારે ગુનાની ગંભીરતા જોતા આરોપીની કસ્ટોડિયલ ઈન્ટ્રોગેશન જરૂરી હોઈ
બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ મહેસાણા સેશન્સ કોર્ટના જજ એમ.એફ.ખત્રીએ સરકારી વકીલની દલીલોને ગ્રાહ્ય રાખી હતી અને આરોપી છનાભાઈ વાઘેલાની આગોતરા જામીન અરજી ફગાવી દીધી હતી. જામીન અરજી નામંજૂર થતા હવે પોલીસ માટે આરોપીની ધરપકડનો માર્ગ મોકળો બન્યો છે. આ કૌભાંડમાં અન્ય કોઈ મોટા માથાઓની સંડોવણી છે કે કેમ અને નકલી દસ્તાવેજો બનાવવામાં કોણે મદદ કરી હતી, તે દિશામાં પણ હવે તપાસ તેજ કરવામાં આવશે.





