શહેરના નાગલપુર વિસ્તારમાં આજે વહેલી સવારે આગની એક દુર્ઘટના સર્જાઈ હતી. અહીં આવેલી એક ઝૂંપટપટ્ટીમાં અચાનક આગ ફાટી નીકળતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જોકે, સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ ગરીબ પરિવારોના આશિયાના સમાન દસેક જેટલા ઝૂંપડાં બળીને રાખ થઈ ગયા છે.વહેલી સવારે જ્યારે લોકો નિદ્રાધીન હતા અથવા વહેલી સવારની કામગીરીમાં વ્યસ્ત હતા, ત્યારે નાગલપુર વિસ્તારના ઝૂંપડાઓમાં અચાનક આગ લાગી હતી. સૂકા ઘાસ અને પ્લાસ્ટિકના તાડપત્રી જેવા જ્વલનશીલ પદાર્થોને કારણે આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને આસપાસના ઝૂંપડાઓને ઝપેટમાં લીધા હતા.
આગના સમાચાર મળતા જ મહેસાણા મહાનગરપાલિકાની ફાયર ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી. ફાયર ફાઈટરો અને પાલિકાના ઉચ્ચ અધિકારીઓએ સ્થળ પર પહોંચી યુદ્ધના ધોરણે આગ બુઝાવવાની કામગીરી શરૂ કરી હતી. ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો, જેને કારણે આગ વધુ ફેલાતી અટકી હતી. સદનસીબે કોઈ પણ વ્યક્તિને ઈજા કે જાનહાનિ થઈ નથી. પરંતુ ઘર વખરીના માલમત્તાનું નુકસાન થયું છે. જ્યારે આશરે 10 જેટલા ઝૂંપડાં સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગયા છે. ઝૂંપડામાં રાખેલ ઘરવખરી અને અનાજ જેવી ચીજવસ્તુઓ નાશ પામતા ગરીબ પરિવારો મુશ્કેલીમાં મુકાયા છે. સ્થાનિક તંત્ર દ્વારા હાલ આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા તપાસ હાથ ધરવામાં આવી છે. વહેલી સવારે બનેલી આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચિંતાનું મોજું ફેરવી દીધું હતું.





