રાધનપુર તાલુકાના નાનાપુરા ગામની સીમમાં શિક્ષકની ખેતીની જમીન પચાવી પાડવા બદલ ચાર શખ્સો વિરુદ્ધ રાધનપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. રાધનપુર પ્રાથમિક શાળાના શિક્ષક હેંગાભાઈ જાગાભાઈ ભરવાડે સગરામભાઈ રાયાભાઈ રાવળ, કનુભાઈ સગરામભાઈ રાવળ, ચતુરભાઈ સગરામભાઈ રાવળ અને પિન્ટુભાઈ સગરામભાઈ રાવળ સામે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ કરી છે. કલેક્ટરના આદેશ બાદ પોલીસે આ કાર્યવાહી કરી છે.
ફરિયાદ મુજબ, ફરિયાદી હેંગાભાઈ ભરવાડે વર્ષ 2020 માં નાનાપુરા ગામના સર્વે નંબર 309 પૈકી 2 વાળી 1-94-62 હેક્ટર જમીન ઉકાભાઈ માવજીભાઈ ચમાર પાસેથી રૂ.2 લાખમાં ખરીદી હતી. આ જમીન અગાઉ મૂળ માલિકે રાવળ પરિવારના સભ્યોને ભાગે વાવેતર કરવા આપી હતી.જમીન વેચાઈ ગયા બાદ પણ આરોપીઓએ તેનો કબજો ખાલી કર્યો ન હતો. આ મામલે સેશન્સ કોર્ટે ફરિયાદીની તરફેણમાં હુકમ કર્યો હોવા છતાં, આરોપીઓએ જમીનનો કબજો છોડવાનો ઇનકાર કર્યો હતો.જમીનનો કબજો મેળવવા માટે ફરિયાદીએ પાટણ કલેક્ટર કચેરીમાં ગુજરાત જમીન પચાવી પાડવા પર (પ્રતિબંધ) અધિનિયમ હેઠળ ઓનલાઈન અરજી કરી હતી.
કલેક્ટરના અધ્યક્ષ સ્થાને મળેલી લેન્ડ ગ્રેબિંગ સમિતિની તપાસમાં આરોપીઓનો કબજો અનઅધિકૃત હોવાનું સાબિત થયું હતું.સમિતિ દ્વારા જમીન ખાલી કરવાની સૂચના આપવા છતાં આરોપીઓએ અડધા ભાગની એટલે કે 0-97-31 હેક્ટર જમીન પર ગેરકાયદેસર કબજો ચાલુ રાખ્યો હતો અને ત્યાં વિવિધ પાકોનું વાવેતર કરી આર્થિક લાભ મેળવતા હતા. કલેક્ટરના હુકમ બાદ રાધનપુર પોલીસે આરોપીઓ વિરુદ્ધ ગુજરાત જમીન પચાવી પાડવા પર (પ્રતિબંધ) અધિનિયમની કલમ 4(3), 5 તથા ભારતીય ન્યાય સંહિતાની કલમ 329(3), 54 અને જી.પી. એક્ટ મુજબ ગુનો નોંધી વધુ તપાસ નાયબ પોલીસ અધિ. પ્રણાલસિંહ લક્ષ્મણસિંહ પરમારને સોંપી હોવાનું જાણવા મળ્યું છે.





