દેશભરમાં લેવાયેલી NEET ની પરીક્ષામાં થયેલી મોટી ગેરરીતિઓ અને ત્યારબાદ પરીક્ષા રદ થવાના કારણે દેશના ૨૩ લાખથી વધુ વિદ્યાર્થીઓ તેમજ તેમના વાલીઓનું ભવિષ્ય અંધકારમય બન્યું છે. આ ગંભીર મુદ્દે વિદ્યાર્થીઓના ન્યાય માટે આજે મહેસાણા ખાતે આમ આદમી પાર્ટી (AAP) દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. ભાજપ સરકારની શિક્ષણ વિરોધી અને દેશ વિરોધી નીતિઓ સામે 'આપ' ના કાર્યકર્તાઓએ જોરદાર નારેબાજી કરી આક્રોશ વ્યક્ત કર્યો હતો.
ગતરોજ ૧૬/૦૫/૨૦૨૬ ના રોજ સવારે ૧૦:૦૦ વાગ્યે મહેસાણાના તોરણવાળી માતાજીના ચોક ખાતે આમ આદમી પાર્ટીના તમામ પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ એકઠા થયા હતા. આમ આદમી પાર્ટી મહેસાણાના જિલ્લા પ્રમુખ અને એડવોકેટ જયદેવસિંહ બી.ચાવડાની સીધી આગેવાની હેઠળ એક વિશાળ વિરોધ રેલીની શરૂઆત કરવામાં આવી હતી. આ રેલી શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થઈને કલેક્ટર કચેરી ખાતે પહોંચી હતી, જ્યાં કાર્યકર્તાઓએ ભારે હલ્લાબોલ મચાવ્યો હતો.
કલેક્ટર કચેરી ખાતે પહોંચીને આમ આદમી પાર્ટીના પ્રતિનિધિમંડળે જિલ્લા કલેક્ટરને એક આવેદનપત્ર સોંપ્યું હતું. જેમાં NEET ની પરીક્ષામાં થયેલી ગેરરીતિ તેમજ તેના કારણે વિદ્યાર્થીઓ અને તેમના માતા-પિતાની થયેલી કફોડી હાલત સહિત મોંઘવારી, દૂધમાં ભાવ વધારો, પેટ્રોલ-ડિઝલમાં ભાવ વધારો, ઈંધણની અછત જેવા મહત્વપૂર્ણ મુદ્દે જ્વલંત રજૂઆત કરવામાં આવી હતી. 'આપ' ના નેતાઓએ જણાવ્યું હતું કે સરકારની આવી નીતિઓના કારણે લાખો પરિવારો આજે માનસિક તાણ અનુભવી હજારો પરીવારનો માળો આર્થિક તંગીના કારણ વિખેરાઈ રહ્યો છે તેના માટે માત્રને માત્ર જો કોઈ જવાબદાર હોય તો તે ભાજપની તાનાશહી સરકાર અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જ છે. આ વિરોધ પ્રદર્શનમાં મહેસાણા જિલ્લા આમ આદમી પાર્ટીના તમામ નાના-મોટા પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ ખૂબ જ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને વિદ્યાર્થીઓને ન્યાય અપાવવા માટે લડત ચાલુ રાખવાનો સંકલ્પ કર્યો હતો.





