જૈન ધર્મના પવિત્ર પર્યુષણ પર્વના નિમિત્તે ઊંઝા શહેરમાં શોભાયાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સમગ્ર પંથકમાંથી જૈન શ્રાવક-શ્રાવિકાઓ મોટી સંખ્યામાં એકઠા થયા હતા અને ધાર્મિક ઉત્સાહ સાથે આયોજનમાં જોડાયા હતા.પર્યુષણ પર્વ દરમિયાન સાધના અને તપશ્ચર્યાનું વિશેષ મહત્ત્વ હોય છે.
આ વર્ષે પણ ઊંઝા ખાતે અનેક શ્રદ્ધાળુઓએ કઠિન તપસ્યાઓ કરી છે. જેમાં અઠ્ઠાઈ (8 દિવસના ઉપવાસ) અને તેનાથી પણ વધુ દિવસોના તપસ્વીઓ સહિત કુલ 37 જેટલા તપસ્વીઓનું બહુમાન અને સાતા પૂછવામાં આવી હતી. આ ઉપરાંત, જૈન સંઘમાં તપશ્ચર્યાની આરાધના કરતા અન્ય શ્રદ્ધાળુઓમાં 150 જેટલા માસક્ષમણ અને અન્ય 20 જેટલા તપસ્વીઓએ 18 થી 16 દિવસના ઉપવાસ કરી તપ આરાધના કરી છે. ધાર્મિક આરાધના અને જૈન શાસનની પ્રભાવના સાથે નીકળેલી આ શોભાયાત્રામાં સમગ્ર જૈન સમાજે ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.





