લાખણી તાલુકાના લાલપુર ગામે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે ગ્રામ પંચાયત કચેરી ખાતે ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. સરપંચ વાલીબેન દરઘાભાઈ દેસાઈના અધ્યક્ષસ્થાને યોજાયેલી ગ્રામસભામાં ગામના વિકાસ અને જનહિતના વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી.
ગ્રામસભાના પ્રારંભે ઉપસ્થિત ગામલોકોને રાજ્ય અને કેન્દ્ર સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ અંગે માહિતી આપવામાં આવી હતી. તેમજ તેનો વધુમાં વધુ લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ ગામલોકોની માંગણીઓ અને પ્રશ્નોને ધ્યાનમાં લઈ ગામતળના નવીન રહેણાંક પ્લોટોની ફાળવણી તેમજ ઘન કચરાના વૈજ્ઞાનિક નિકાલ અંગે વિસ્તૃત ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.
આ પ્રસંગે ગામમાં સ્વચ્છતા જાળવવા, પર્યાવરણ સંરક્ષણમાં સહભાગી બનવા અને સરકારી યોજનાઓનો લાભ મેળવી ગામના સર્વાંગી વિકાસમાં યોગદાન આપવા ગ્રામજનોને હાકલ કરવામાં આવી હતી.ગ્રામસભામાં વણાભાઈ, ખુમાભાઈ દેસાઈ, ભગવાનભાઈ ચેરમેન, વીસીઈ નરસિંહ ઠાકોર,પત્રકાર બાબુભાઈ મેમણ સહિત ગામના આગેવાનો અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન તલાટી કમ મંત્રી કુશલભાઈ ચૌધરીએ કર્યું હતું. સૌહાર્દપૂર્ણ અને રચનાત્મક વાતાવરણમાં ગ્રામસભા સંપન્ન થઈ હતી.





