અમદાવાદ/સુરત/વડોદરા: ગુજરાત સહિત દેશભરમાં મોડી રાત્રે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં અચાનક મોટો વધારો કરવામાં આવતા સામાન્ય જનતામાં રોષ ફેલાયો છે. પેટ્રોલમાં પ્રતિ લિટર ₹2.99 અને ડીઝલમાં ₹3.09નો આકરો વધારો ઝીંકાયો છે. આ વખતે પ્રથમવાર રાત્રે 12ને બદલે મોડી રાત્રે 3 વાગ્યે પંપ સંચાલકોને સૂચના આપી નવા ભાવ લાગુ કરી દેવામાં આવ્યા હતા, જેના કારણે વહેલી સવારે પેટ્રોલ પુરાવવા આવેલા વાહનચાલકો આશ્ચર્યમાં મૂકાઈ ગયા હતા.
સુરત અને વડોદરામાં વિચિત્ર સ્થિતિ
ભાવવધારાની જાહેરાત સાથે જ સુરતના અનેક પેટ્રોલ પંપો પર ‘પેટ્રોલ-ડીઝલ નથી’ તેવા બોર્ડ લાગી ગયા હતા, જેને પગલે વાહનચાલકોને ભારે હાલાકી પડી હતી. બીજી તરફ, વડોદરામાં એક પેટ્રોલ પંપ પર સરકારી વાહન ટેમ્પોમાં પીપ ભરીને ડીઝલ લઈ જતું હોવાના દ્રશ્યો કેમેરામાં કેદ થયા હતા, જેણે લોકોમાં ચર્ચા જગાવી છે.
જનતાનો આક્રોશ: "ચૂંટણી જીતતા જ ભેટ આપી"
પેટ્રોલ પંપ પર ઉભેલા વાહનચાલકોએ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, "ચૂંટણી પૂરી થતાની સાથે જ સરકારે મોંઘવારીનો ડોઝ આપી દીધો છે." કેટલાક લોકોએ તો ત્યાં સુધી કહ્યું કે જો ભાવ આટલી ઝડપે વધતા હોય, તો સામાન્ય માણસનો પગાર પણ એ જ રીતે વધારવો જોઈએ.
ડીલરોનું શું કહેવું છે?
યુનાઈટેડ પેટ્રોલિયમ ડીલર એસોસિયેશનના પ્રમુખ અરવિંદ ઠક્કરના જણાવ્યા અનુસાર, આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવ 140 ડોલર સુધી પહોંચ્યા હોવાથી ભાવવધારો અનિવાર્ય હતો. સરકારને અત્યારે પણ પેટ્રોલમાં ₹20 અને ડીઝલમાં ₹40નું નુકસાન થઈ રહ્યું છે. જોકે, તેમણે આશ્વાસન આપ્યું હતું કે પૂરતો જથ્થો ઉપલબ્ધ છે અને લોકોએ પેનિક થવાની જરૂર નથી.





