તંત્રની નિષ્ફળતાથી પીવાના પાણી અને રસ્તા માટે વલખાં
"વિકાસ" શબ્દ જ્યારે કાગળ પરથી ઉતરીને જમીન પર નથી પહોંચતો, ત્યારે જનતાનો આક્રોશ ફાટી નીકળે છે. વિસનગરના આનંદકુંજ સોસાયટીના રહીશો છેલ્લા ઘણા દિવસોથી પીવાના શુદ્ધ પાણી માટે વલખાં મારી રહ્યા છે. એક તરફ સરકાર આરોગ્યની વાતો કરે છે, તો બીજી તરફ પીવાના પાણી જેવી પ્રાથમિક સુવિધાના અભાવે લોકોના સ્વાસ્થ્ય સાથે ખુલ્લેઆમ ચેડાં થઈ રહ્યા છે.ગ્રાન્ટોનો વરસાદ, પણ સુવિધાઓનો દુષ્કાળ સદંતર જોવા મળી રહ્યો છે.
છેલ્લા ૧૯ વર્ષથી વિસનગરમાં સત્તા પર રહેલા ધારાસભ્ય ઋષિકેશ પટેલ અને તેમના પ્રતિનિધિઓ સહિત તંત્ર સામે હવે ગંભીર સવાલો ઉભા થયા છે. સરકાર દ્વારા કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે, છતાં વિસનગરના ખૂણે ખૂણે અસુવિધાઓનું સામ્રાજ્ય કેમ છે? પીવાનું પાણી અનેક દિવસોથી અનિયમિત અને ગંદુ પાણી આવે છે છતાં પણ સરકારી તંત્ર દ્વારા કોઈ જ યોગ્ય કાર્યવાહી કરવામાં નથી આવી. વિસનગર શહેરના રોડ રસ્તા અને ડ્રેઇનેજ બધું ખાડે ગયું છે. શહેરના ખૂણે ખૂણે ખાડા રાજ અને ઉભરાતી ગટર લાઈનોથી જનતા પરેશાન થઈને ત્રાહિમામ પોકારી ઉઠી છે તેમ છતાં ધારાસભ્ય ઋષિકેશ પટેલ કે તેમના સરકારી અધિકારીઓના કાન સુધી આમ જનતાનો અવાજ પહોંચતો નથી.
ધારાસભ્ય ઋષિકેશ પટેલની બેદરકારીનું પરિણામ આજે વિસનગરનો સામાન્ય નાગરિક ભોગવી રહ્યો છે. ૧૯ વર્ષમાં વિસનગરનો વિકાસ ક્યાં રહી ગયો? શું માત્ર વાયદાઓ અને માફી માંગવાથી જનતાની તરસ છીપાશે? હવે માફી નહીં, મજબૂત અમલવારી જોઈએ છે." તેવો આક્રોશ વિસનગરના સ્થાનિક રહીશોએ વ્યક્ત કર્યો છે. અસુવિધાઓ માટે વિસનગર વાસીઓએ ધારાસભ્યની બેદરકારી કે વહીવટી નિષ્ફળતાને જ જવાબદાર ઠેરવી છે. સોશિયલ મીડિયા અને વીડિયોના માધ્યમથી રહીશો પોતાનો અવાજ સરકાર સુધી પહોંચાડી રહ્યા છે. વિસનગરની જનતાનો સ્પષ્ટ આરોપ છે કે ચૂંટણી સમયે આવતા વાયદાઓ ગ્રાઉન્ડ લેવલ પર ક્યારેય દેખાતા નથી. ગ્રાન્ટ ક્યાં વપરાય છે અને કેવા પ્રકારનો 'ટકાઉ વિકાસ' થઈ રહ્યો છે, તેની તપાસ થવી અનિવાર્ય છે.
વિસનગરની આનંદકુંજ સોસાયટીમાં પાણીની વિકટ સમસ્યાથી પરેશાન રહીશોએ આ બાબતે નગરપાલિકામાં હલ્લાબોલ મચાવ્યો છે. વિસનગરના ધરોઈ કોલોની રોડ પર આવેલી આનંદકુંજ સોસાયટીના રહીશો છેલ્લા સાત દિવસથી પાણીની ભારે અછતનો સામનો કરી રહ્યા છે. સોસાયટીમાં છેલ્લા એક અઠવાડિયાથી પાણી ન આવતા અને ક્યારેક આવતું પાણી પણ દૂષિત હોવાના કારણે રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ સમસ્યાના મૂળમાં બંસલ મોલ નજીક સર્વિસ રોડ પર છેલ્લા સાત દિવસથી તૂટેલી પાણીની પાઈપલાઈન જવાબદાર છે, જેનું સમારકામ ન થતા હજારો લિટર પાણીનો બગાડ થઈ રહ્યો છે. તંત્રની આ ઘોર બેદરકારી સામે સોસાયટીના રહીશોએ નગરપાલિકામાં ઉગ્ર રજૂઆત કરી હતી અને ચીફ ઓફિસરને લેખિતમાં ફરિયાદ આપી તાત્કાલિક પાઈપલાઈન રિપેર કરી નિયમિત પાણી પુરવઠો પૂરો પાડવાની માંગ કરી છે.
આ સાથે વિસનગરના સ્થાનિક રાહીશોની મુખ્ય માંગણીઓ વિશે જો વાત કરીએ તો આનંદકુંજ સોસાયટીમાં તાત્કાલિક ધોરણે શુદ્ધ પીવાનું પાણી પૂરું પાડવામાં આવે, વર્ષોથી લટકેલા રસ્તા અને ડ્રેઇનેજના કામોની ગુણવત્તા તપાસવામાં આવે, જનતાના પ્રશ્નો સાંભળવામાં નિષ્ફળ રહેલા પ્રતિનિધિઓ પોતાની જવાબદારી સ્વીકારે અને સત્વરે સાચા અર્થમાં લોકોના કામ કરે. વિસનગરની જાગૃત જનતા હવે જાગી ગઈ છે. લોકશાહીમાં મત આપનાર નાગરિક જ્યારે પાયાની સુવિધાઓ માટે ટળવળે, ત્યારે તે તંત્રની નૈતિક હાર છે. સરકારશ્રી આ બાબતે તાત્કાલિક હસ્તક્ષેપ કરે તેવી લોક માંગ છે.





